________________
૬૬ કર્મ-વિચાર ભાગ-૧
અસર થયા કરે છે, તે અસર કેવી ને કેમ થાય છે ? તે હવે પછી સમજાવીશું.
૬. બંધાયેલા કર્મની અસર આત્મા ઉપર થાય છે. તે અસર કેવી કેવી થાય છે ? તેને લીધે જગતના કેવા કેવા પદાર્થો બને છે ? અને કેવા કેવા ફેરફારો થાય છે ? તે પણ કાગળ ઉપર જ સમજાવીશું. એ યાદ રાખજો કે તમારા શરીરે જેટલી જગ્યા રોકી છે, તેમાં તમારા આત્મપ્રદેશોએ જેટલી જગ્યા રોકી છે, અને તેટલી જ જગ્યામાં જે જે કાર્મણવર્ગણા છે, તેમાંથી જ તમારા આત્મપ્રદેશો, કાર્યણવર્ગણા ખેંચીને પોતાની સાથે ભેળવીને તેને બાંધીને—કર્મ બનાવે છે. આત્માએ જે જગ્યા નથી રોકી, તેમાંથી કાર્મણવર્ગણા ખેંચાતી નથી. આપણે બીજે ઠેકાણે જ્યાં જઈએ, ત્યાંથી પણ જેટલામાં આપણા આત્મપ્રદેશો ફેલાયા હોય, તેમાંથી જ કાર્યણવર્ગણા ખેંચાય છે.
મુદ્દા
૧. આત્મા સાથે ચોંટ્યા પછી કાર્મણવર્ગણાનું નામ જ “કર્મ” કહેવાય છે. ૨. જેટલા ભાગમાં આત્મા (આત્મપ્રદેશો) હોય છે, તે સ્થળે રહેલી કાર્મણવર્ગણામાંની જ કાર્મણવર્ગણાઓ યોગના બળે આત્મા સાથે ચોંટે છે, ત્યારે તેનું નામ “કર્મનો બંધ” કહેવાય છે.