________________
પાઠ ૧૬મો
બંધ અને કર્મ
ઓહો ! આજે તમે બધા આનંદમાં કેમ છો ?
જી ! અમે અહીં આવતા પહેલાં પાછલા વિષયોની ચર્ચા કરતા હતા. શિખાઈ ગયેલી દરેક બાબત સાચી રીતે સમજેલા હોવાથી, “અમને તે બરાબર યાદ છે.” તેવી આજે અમારી પાકી ખાતરી થઈ, તેના આનંદમાં હતા.
બહુ સારું ! ત્યારે તો આજનો વિષય કઠિન છતાં સહેલાઈથી સમજી શકશો.
તમે બધા લાઈનસર પલાંઠી વાળીને બેસી જાઓ. તમારું શરીર છૂટું મૂકી દો. મન અને મગજ ઉપરથી બોજો ઉતારી, એકદમ સ્વસ્થ, શાન્તઃ અને આનંદી થઈ જાઓ. મનમાં આડાઅવળા વિચારો ધૂમતા હોય, તો તેને દૂર ફેંકી દો.
દેવીદાસ ! પીઠ વાળીને ન બેસો. સીધા અક્કડ શરીર હલકું રાખીને બેસો.
હું કહું, તે બરાબર સાંભળો અને હું સૂચવું, તે પ્રમાણે વર્તતા રહો.
એક સૂચના–હું પ્રશ્ન પૂછું, તેનો એક જ જણાએ ઉત્તર આપવો. ન સમજાય, તો જ “ફરીથી સમજાવો.” એટલા જ શબ્દો ઉચ્ચારવા. બોલવાને દરેક પ્રસંગે ઘણું જ ધીમેથી બોલવું. એકની વચ્ચે બીજાએ ન જ બોલવું. આજે આપણે અપૂર્વ શાંતિ જાળવવાની છે.