________________
૫૦ કર્મ-વિચાર ભાગ-૧
જુઓને, તમારા મોં ઉપર રતાશ આવી ગઈ, આખા શરીરમાં લોહી ધમધમાટ કરતું દોડી રહ્યું છે. કેમ કાંઈ જણાય છે ને?
હા, હા, ચોક્કસ. શરીરમાં ધમધમાટી ચાલી રહી છે ને.
બસ. તમે તમારા હાથવતી જયારે બળ કર્યું, ત્યારે હાથના વિભાગમાં રહેલા આત્મપ્રદેશો આંદોલિત થયા, અને તે જ વખતે ખભાના આત્મપ્રદેશો ખૂબ આંદોલિત થયા. અનુક્રમે આખા શરીરના આત્મપ્રદેશો ખૂબ આંદોલિત થઈ ગયા. ' અર્થાત, આત્મપ્રદેશો સાંકળના અંકોડાની માફક એકબીજા સાથે જોડાયેલા છે. એક સ્થળે આંદોલન થતાં જ તેની અસર દરેક આત્મપ્રદેશોમાં પહોચે છે.
આત્મપ્રદેશોમાં થતા આ આંદોલનનું યોગ, બળ, વીર્ય એવું નામ છે. આપણે પણ યોગ એ શબ્દનો જ્યાં વ્યવહાર કરીએ, ત્યાં તેનો અર્થ આ પાઠમાં બતાવ્યા પ્રમાણે સમજવો.
આપણે સૂતા હોઈએ કે શાંત ચિત્તે બેઠા હોઈએ, તો પણ આત્મપ્રદેશો આંદોલિત જ હોય છે, તેમાં યોગ થતો જ હોય છે. આ યોગનું નામ અનભિસંધિજયોગ કહેવાય છે.
કાંઈ પણ કામમાં શરીરને કે શરીરના અવયવોને લગાડીએ, ત્યારે અભિસંધિ(પ્રયત્નથી ઉત્પન્ન થતાં આદોલનોને-)યોગને અભિસંધિજ યોગ કહેવાય છે.
અભિસંધિજ તે બાહ્ય પ્રયત્નથી ઉત્પન્ન થતો યોગ.” અનભિસંધિજ તે બાહ્ય પ્રયત્ન વિના ઉત્પન્ન થતો યોગ.”
યાદ રાખજો કે, તમે કાંઈ પણ કામ કરો, તે દરેક વખતે પણ યોગ થાય જ છે. મૌન બેસી શાંત પણે કંઈ વિચારતા હો, તે વખતે પણ યોગ થાય છે. શ્વાસ ખાતા હો, કંઈ પણ બોલતા હો, કે શરીરને સહેજ સહેજ હલાવતા હો, તો પણ યોગ થાય જ છે. આપણું નાનું મોટું કામ, નાનીમોટી ચેષ્ટા એક પણ એવી નથી, કે જેમાં યોગ-આત્મપ્રદેશોનું આંદોલન થતું ન હોય.