________________
પાઠ પમો
નામકર્મ
હવે આ પાઠમાં “નામકર્મ”નો વિચાર કરવાનો છે.
ગયા પાઠોમાં સાત કર્મોનો વિચાર કરવામાં આવ્યો, તે ઉપરથી એમ જ સમજાય છે કે, સાત કર્મો ને તેના ભેદોને લીધે થતી જીવની અવસ્થાઓ અથવા પ્રાપ્ત થતી સામગ્રી બધી ભાવરૂપ, નજરે-પદાર્થરૂપે ન જોઈ શકીએ તેવી જણાય છે. પરંતુ આ કર્મ શરીર, અવયવો, શરીરની અમુક આકૃતિ વગેરે જોઈ શકાય તેવાં ફળો આપનારું કર્મ છે. આ કર્મના ૧૦૩ પ્રકારો છે. તે બધા અહીં સમજાવવા મુશ્કેલ છે. તેથી પ્રથમ તો જેટલા સમજાવી શકાય તેમ છે તે સમજાવવાનો યત્ન કરીશ.
એક બાળક જન્મ લે છે, એટલે શું?
તેનો અર્થ એ જ કે, કોઈ પણ આત્મા શરીર ધારણ કરીને આ જગતમાં બહાર પડે છે.
ત્યારે તેણે શરીર શી રીતે બનાવ્યું હશે ? અને શરીર બનાવ્યા પહેલાં તે શી સ્થિતિમાં હશે ? એ વગેરે વિચારવું જોઈએ કે ?
ખરેખર, એ ખાસ સમજવા જેવું છે. સાંભળો, બરાબર ધ્યાન દઈને સાંભળજો.
કોઈ પણ પ્રાણી મરણ પામીને કોઈપણ સ્થળે પાછો ઉત્પન્ન થવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આપણે આત્માના સ્વરૂપમાં વિચારી ગયા છીએ કે, “આત્મા નિત્ય છે. તેનો કદી નાશ થતો નથી. આપણે કહીએ છીએ કે અમુક માણસ મરી ગયો.” તેનો અર્થ એ નથી કે તેનો આત્મા મરી ગયો.