________________
(૬૩) સૂત્ર - ૪૪ - જીવના યોગ અને ઉપયોગ પરિણામ
૩૭૩ પ્રત્યે તે જીવની જાણકારી, વિચારણા પ્રવર્તે છે, તેનું લક્ષ્ય તે તરફ જાય છે. તેને ઉપયોગ કહેવાય. તે પછી આગળ વિચારણા પ્રવર્તે છે એટલે તે ઉપયોગ થયા પછી આ વસ્તુ સારી છે, ગમે છે, મેળવવા કે આચરવા કે પરિચય, સંસર્ગ વિગેરે કરવા જેવી છે, તેવી રૂચિ થાય છે. કે સારી નથી. ગમતી નથી, મેળવવા, આચરવા પરિચય કે સંસર્ગ કરવા જેવી નથી એવી અરૂચિ થાય છે. આવો રૂચિ અરૂચિનો નિર્ણય એટલે કે ગ્રહણ અને ત્યાગનો નિર્ણય, જેને પરિભાષામાં ઉપાદેય કે હેયનો નિશ્ચય તેને ભાવના કહેવાય છે. તે પછી હમણાં, તત્કાળ કે નજીકના સમયમાં તે ઉપાદેયોમાંથી કઈ એક બે ચીજ મેળવવી વિગેરે, કે હેય ચીજોમાંથી ત્યાગ કરવી, તેનાથી છૂટવું વિગેરે માટે પ્રવૃત્તિ કરવી છે, તે નક્કી કરી તે માટેની વિચારણા, આયોજન તૈયારી વિગેરે કરતો હોય છે તેને પરિણામ કહેવાય છે. તે પછી તે અનુસાર પ્રવૃત્તિનો પ્રારંભ તેને પ્રવૃત્તિ કહેવાય છે. ઉપયોગ, ભાવના અને પરિણામ એ આંતરિક છે. પ્રવૃત્તિ, એ બાહ્ય છે. ઉપયોગાદિ ત્રણ, જ્ઞાન અને વીર્ય ગુણના કાર્ય છે. અને પ્રવૃત્તિ, એ વીર્યગુણથી થાય છે. અશુદ્ધ ઉપયોગ, અને શુદ્ધ ઉપયોગ -
ઉપરોક્ત ઉપયોગાદિ ત્રણેયમાં મોહનીયકર્મના પુદ્ગલસ્કંધોના ઉદયને કારણે તેની છાયા પડેલી હોય છે. તેનાથી ઉપયોગમાં અશુદ્ધિ આવે છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ વિગેરે મોહના ભાવો ઉપયોગને અશુદ્ધ કે મલિન બનાવવાનું કાર્ય કરે છે. સંસારી જીવોને જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોપશમ ઓછો વધુ અનાદિથી હોય જ છે. પણ મોહનીયનો હોતો નથી. તેથી તેનો ઉપયોગ અશુદ્ધ વર્તતો હોય છે. ચરમાવર્ત અને ચરમકરણથી મોહનીયકર્મની તીવ્રતા ઘટવા લાગે છે, અને સમકિત પામે ત્યારે તેનો ક્ષયોપશમ થયો ગણાય છે. મોહનીયકર્મના મુખ્ય બે પ્રકારમાંથી પ્રથમ અને મહાભયંકર મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી