________________
૨૫૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રોત્સાહિત બનાવવા વડે પણ, એક બીજાને સહાયક થાય છે. આ રીતે સંસારી સઘળા જીવો દરેક અવસ્થામાં એકબીજાના આધાર પર જ જીવન વ્યતીત કરે છે. તમે કોઈના સારા કે ખરાબમાં નિમિત્ત બનો, તે તમારી ભાવના અને પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે.
તમે કરો તેવું પામો છો. સહાયકપણું, નિમિત્ત કારણ બનવું, એ જીવોનું કાર્ય છે. તેથી સારામાં નિમિત્ત કારણ બનવું, કોઈના ખોટામાં નિમિત્ત ન બનવું.
– આપણે સઘળા જીવો એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ.
આ સૂત્ર સામાન્યથી સંસારી જીવનાં કાર્યો શું છે તેનું ટૂંકમાં પણ વ્યાપક નિદર્શન કરે છે. બીજી રીતે વિચારવા જઈએ તો વધુ બુદ્ધિશાળી અને વધુ શક્તિશાળી જીવે બીજાને સહાય કરવા તત્પર રહેવું જોઈએ. છ જીવનિકાય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવો) તીર્થકર ભગવાનનાં પુત્રો સમાન માન્યા છે. એટલે આપણે સઘળા જીવો એક પિતાના પુત્રો જેવા ભાઈઓ છીએ. તેમાંય મનુષ્ય તરીકે આપણે સૌથી મોટાભાઈ અને વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી છીએ. તો ખરેખર માણસનું કર્તવ્ય શું છે? અને આજે માણસ કેવી રીતે વર્તી રહ્યો છે? માણસ તો બધા જીવોનો ઉપયોગ કરી બધાની સહાયતા લે છે, પણ તે જીવોની રક્ષા કરવામાં પાછળ પડે છે.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને પશુઓ આદિ સઘળા માણસના કામમાં આવે છે. પણ વર્તમાનમાં માણસ, પશુઓ અને છ જીવનિકાયની ભયંકર હિંસા અને કુદરતી સંપત્તિઓનો પણ ભયંકર નાશ કરી રહ્યો છે. તે કર્મોના કડવાફળ ભોગવવા પડશે. સંસારી ગૃહસ્થને સઘળા જીવોને બચાવવા શકય ન બને તો, તેવા જીવો પ્રત્યે દયાભાવ ધારણ કરી, શક્ય અંશે તેઓને બચાવવા પ્રયત્ન કરવો તે શક્ય છે. શ્રી તીર્થકર પરમાત્માએ તે કારણથી મનુષ્યને માટે તે જ પ્રથમ અને ઉત્તમ કર્તવ્ય બતાવ્યું છે. તે સમજવા માટે એક દષ્ટાંત છે.