________________
૨૦૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ક્વચિત્ સાધના કરનાર મનુષ્યાદિની સાધનાથી આકર્ષાઈ, રાગ, દ્વેષ વિગેરે પૂર્વજન્મની સ્મૃતિથી સહાયાદિ માટે આવતા હોય છે.
- દેવો સુખથી પરાધીન છે, નરકો દુઃખથી પરાધીન છે, તેથી અધ્યાત્મસાધના માટે તે શરીર નિરર્થક છે.
સુંદર, નિરોગી, સુખમય, દીર્ઘકાલીન વૈક્રિયશરીર ખૂબ પુણ્યકર્મના ઉપાર્જનથી પ્રાપ્ત થતું હોવા છતાં, સુખથી અત્યંત પરાધીન હોવાથી, મોક્ષમાર્ગની સાધનાથી રહિત હોવાથી, શાસ્ત્રકારોએ નિરર્થક કહ્યું છે. - નરકના જીવોનું શરીર પણ વૈક્રિયવર્ગણાના પુદ્ગલસ્કંધોથી રચાય છે. તે પારા જેવું હોય છે. નરકાવાસની દિવાલોમાં રહેલી કુંભીઓમાં તેઓનો ઉપપાત (જન્મ) થાય છે. તે કુંભીઓનું મુખ નાનું હોય છે તેથી દુઃખે કરીને બહાર નીકળી શકે છે. આહારમાં વિરસ પુગલોનો સંચાર થાય છે. નરકોમાં જીવોને અત્યંત દુઃખમય જન્મ, તેમજ જીવન પણ દુઃખમય હોય છે. કોઈ સ્થળે અતિ ઠંડી, તો કોઈ સ્થળે અતિગરમી, દુર્ગધ, અંધારુ વિગેરે સર્વે ક્ષેત્રકૃત પીડા હોય છે.
તે સિવાય પરમાધામીઓ દ્વારા પણ દુઃખ પામે છે તેઓ નરકના સંત્રી (અધિકારી) કહેવાય છે. તેઓ દેવગતિના ભવનપતિ નિકાયના એક પ્રકારના દેવો છે. તેના ૧૫ પ્રકાર છે. નરકાવાસોમાં તે દેવો પોતાની ઇચ્છા મુજબ જઈ નરકના જીવોને તેમના પૂર્વભવના કુકૃત્યો યાદ કરાવી છેદન, ભેદન, પકાવવું, ભાલાથી વીંધવું, ઉકળતા તેલમાં તળવું, કરવતથી કાપવું, વૈતરણી નદીમાં નાંખવું વિગેરે અનેક પ્રકારની પીડા આપે છે. તે દેવોમાં પૂર્વકર્મકૃત આવો જન્મજાત સ્વભાવ હોય છે. નરકના જીવોને ક્રોધ વધુ હોવાથી પરસ્પર પણ એકબીજાને પીડા આપે છે, તેમના શરીર કપાઈ અનેક ટૂકડાઓ પણ થઈ જાય તો પણ, પારા જેવા હોવાથી ભેગા થઈ જોડાઈ જાય છે. ભયંકર પીડાઓમાં પણ તેઓ મરી શકતા નથી. તેઓને પલ્યોપમ અને સાગરોપમના દીર્ઘકાળ સુધી પારાવાર વેદનાઓ સહન કરવી પડે છે.