________________
(૩૪) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-દારિક શરીર
૧૮૭
જીવના ત્રણપ્રકારના આહાર :
(૧) ઓજાહાર - પૂર્વભવના શરીરને છોડીને આવેલો જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે વિશેષ પ્રયત્નથી જે પુદ્ગલો ગ્રહણ કરી આત્મા સાથે એકરસ કરે તે ઓજાહાર. તે ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય છે. શેષ જીવનમાં બાકીના બે હોય છે.
(૨) લોમાહાર : રચાઈ ગયેલા સૂક્ષ્મ (નાના) કે મોટા શરીરના છિદ્રો વડે બધી દિશામાંથી પુદ્ગલોને શોષી-ખેંચીને, શરીર સાથે એકરસ કરે છે. પુદ્ગલપદાર્થને છિદ્રો દ્વારા શોષવાની જે ક્રિયા, તે લોમાહાર. આ પ્રક્રિયા દરેક શરીર ધારી જીવને, જીવનના દરેક સમયે અવિરત ચાલુ જ હોય છે.
(૩) કવલાહાર: મુખ દ્વારા કોળીયો ગ્રહણ કરી પાચનતંત્ર સુધી લઈ જવો તે કવલાહાર. ગ્રહણ કરેલા તે કોળીયાના પુદ્ગલોને સાતધાતુરૂપે પરિણાવી (રૂપાંતર કરી) શરીર સાથે એકરસ કરાય છે. આ પ્રક્રિયા ઔદારિકશરીરવાળા એકેન્દ્રિય (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ) સિવાયના જીવોને જ હોય છે. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને વીર્ય આ સાતધાતુઓ કહેવાય છે. તે લીધેલા ખોરાકમાંથી બને છે.
નવા ભવમાં ઉત્પત્તિના સમયે આવેલો જીવ, શરીર રચના માટે સૌ પ્રથમ ઓજાહારથી ખોરાક ગ્રહણ કરે છે. તે પછીના પ્રથમ અંતર્મુહૂર્ત (૪૮ મિનિટ સુધીનો કાળ)માં પોતાને જેટલી પર્યાપ્તિઓ અને ઇન્દ્રિયો બનાવવાની છે તે સર્વેને બનાવી દે છે. અહીં કહેવાનો ભાવ એ છે કે જીવને જે ગતિમાં જે યોનિમાં, નાનું કે મોટું જેવું શરીર બનાવવાનું છે તેની પ્રારંભિક રચના કરી લે છે. તેમજ પર્યાપ્તિઓ અને ઇન્દ્રિયો, જે જીવન જીવવાના અને વધુ વધુ સુંદર રીતે જીવનને માણવાના સાધનો છે, તેને પણ અહીં સૂક્ષ્મ અવસ્થામાં થોડા જ કાળમાં બનાવી દે છે. તે