________________
૧૩૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તમે અનંત વિશ્વ (લોકાકાશ)ને માનો તો વિશ્વમાં અવ્યવસ્થાની આપત્તિ આવી પડશે. જો પરિમિત વિશ્વ (લોકાકાશ), અને પછી કંઈ નથી તેમ માનો તો તે પણ શક્ય નથી. જૈન તત્ત્વજ્ઞાનની પરિમિત લોકાકાશ (વિશ્વ), અને અનંત અલોકાકાશની માન્યતા સુવ્યવસ્થિત વિશ્વવ્યવસ્થાને સાકાર બનાવે છે - સંભવિત બનાવે છે. વિજ્ઞાન, વિશ્વની કુલ ઉર્જાને અચળ માને છેઃ
આધુનિક વિજ્ઞાન વિશ્વની કુલ ઉર્જા સ્થિર (અચળ) માને છે, તે માટે તેણે વિશ્વની પરિમિતતા સ્વીકારવી જરૂરી બને છે. પરિમિત વિશ્વમાં જ ઉર્જા એકબીજા રૂપાંતરોને પામતી નિશ્ચિત પ્રમાણવાળી-સ્થિરરહી શકે. જો વિશ્વ અનંત હોય તો ઉર્જા વિખરાયા કરે, તે અનંત આકાશમાં વિખરાઈ જાય. પુદ્ગલનો કણિયો અહીંથી વિખરાતો વિખરાતો અનંત કાળ સુધી દૂર સુદૂર જતો રહે, તે પાછો ન ફરે. પરંતુ એવું બનતું નથી. આપણે massને energy માં રૂપાંતરિત કરી, તે energyને કુદરતી પ્રક્રિયાથી રૂપાંતરિત થવા દ્વારા, ફરી massને પ્રાપ્ત કરીએ છીએ. માટીમાંથી અનાજ, અને અનાજમાંથી ખોરાક (mass)નો શરીરમાં જરૂરી ગરમી (energy) ઉર્જા રૂપે રૂપાંતરિત કરવા દ્વારા તેનો ઉપયોગ કરી વાતાવરણમાં વિસર્જિત કરીએ છીએ. જે છૂટા-સૂક્ષ્મ પુદ્ગલો રૂપે રૂપાંતર પામી કુદરતી ક્રમે ફરી માટી (mass)માં ભળી રૂપાંતર પામે છે. વિશ્વના દરેક યુગલ પદાર્થમાં આ ચક્ર સતત ચાલ્યા કરે છે. કોઈ ઘટનામાં ચક્ર વહેલું પૂરું થાય તો કોઈમાં ઘણો સમય પણ ચાલી જાય. ટૂંકમાં સઘળા પુદ્ગલો રૂપાંતર પામી વારંવાર ઉપયોગમાં આવે છે. આ રીતે વિજ્ઞાન ઉર્જાને અચળ માને છે, અને તે માટે વિશ્વને પરિમિત માનવું જરૂરી છે.
આ વિષયના અનુસંધાનમાં, એટલે કે પુદ્ગલ પદાર્થનું વિખરાવવું અને જોડાવું ના વિષયમાં, એક ચોક્કસ નિયમ જળવાય છે, જે જૈનતત્ત્વજ્ઞાનમાં જણાવ્યો છે, તેને જાણવો રસપ્રદ બનશે. તે એ છે કે