________________
૫૫૯ ૨) સ્વભાવ ભાવોમાં તો પરનું કર્તુત્વ છે નહિ, વિભાવ ભાવોમાં પણ પરના કર્તુત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. જીવની ઔદાયિકાદિ ભાવરૂપથી પરિણમન થવાની ક્રિયામાં વાસ્તવમાં જીવ સ્વયે જ છ'કારકરૂપથી વર્તે છે એટલા માટે બીજા કારકોની અપેક્ષા નથી. ખરેખર તો કોઈ દ્રવ્યના કારકો કોઈ અન્ય દ્રવ્યના કારકોની અપેક્ષા નથી હોતી. ૩) ભગવાન આત્મા પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પર્યાયો અથવા રાગાદિકરૂપ વિકારી પર્યાયોના રૂપમાં પોતપોતાની સ્વસમયની યોગ્યતા અનુસાર સ્વયં જ પરિણમિત થાય છે, એના પર નિમિત્તનો કોઈ હસ્તક્ષેપ છે જ નહિ. ૪) હા, એ અવશ્ય છે કે જ્યારે આત્મા સમ્યગ્દર્શનાદિનિર્મળ પર્યાયો અથવા રાગાદિકરૂપ વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અથવા પર્યાયગત યોગ્યતાનુસાર પરિણમિત થાય છે, ત્યારે તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે. એ માટે એ કથન સત્ય નથી કે નિમિત્ત વિના કાર્ય થતું નથી. પણ આ કથન નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રને જ બતાવે છે, એનાથી વધારે કાંઈનહિ. નિમિત્ત હંમેશા પરપદાર્થરૂપ જ હોય છે. ૫) પ્રત્યેક દ્રવ્યમાં એના પોતપોતાના સ્વભાવાદિથી કારણસ્વરૂપ એવી વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણે પ્રત્યેક સમયનું ઉત્પાદ-વ્યય સ્વયં થાય છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રતિસમયના પ્રત્યેક કાર્યનું નિશ્ચય ઉપાદાન સુનિશ્ચિત છે. ૬) પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી જ પરિણમનશીલ છે. જ્યારે નિત્ય રહીને પરિણમન થવું પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે તો પછી એ પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષા કેમ હોય? ન જ હોય. કારણ કે સ્વભાવ નિરપેક્ષ છે. ૭) સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં દર્શનમોહકર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ અંતરંગ નિમિત્ત અને દેશનાલબ્ધિ (ગુરુનો ઉપદેશ) બહિરંગ નિમિત્ત છે. પણ નિમિત્ત સમ્યગ્દર્શનનું કારણ નથી. પ્ર. ૫ઃ સુખી થવાનો એકમાત્ર ઉપાય આત્માને જાણો, માનો અને તેમાં જ રમી જાઓ, જામી જાઓ - આમાં નિમિત્ત-ઉપાદાન સમજવાની શું જરૂર છે? ઉ. ૫ આત્માને જાણવા માટે નિમિત્ત-ઉપાદાનનું સ્વરૂપ જાણવું જરૂરી છે. નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ ન સમજવાથી આત્મકલ્યાણરૂપ કાર્ય કરવા માટે આ આત્મા પરપદાર્થોના સંયોગોની આકાંક્ષાને લીધે પર તરફ જ જોઈ રહ્યો છે. પોતાની (સ્વ) તરફ જોતો નથી. એટલે એ સમજવું અત્યંત જરૂરી છે કે આપણા આત્માના કલ્યાણનું કાર્ય તો સ્વયંના આશ્રયથી, સ્વની પાત્રતા(યોગ્યતા)થી સ્વયંમાં જ સંપન્ન થાય છે, પરપદાર્થ તો એમાં માત્ર નિમિત્ત જ હોય છે. - જ્યારે દ્રવ્યસ્વભાવમાં પર્યાયગત પાત્રતાનો પરિપાક થાય છે તો નિમિત્ત પણ સહજ ઉપસ્થિત થાય છે. એટલે નિમિત્તા પરથી દષ્ટિ હટાવી ત્રિકાળી ઉપાદાન કે જે નિજ ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે, એના પર દષ્ટિ કેન્દ્ર કરવાથી આત્મઅનુભવ થાય છે.