________________
૫૪૩
૪) ભવિતવ્ય અથવા નિયતિ તે તે સમયની યોગ્યતા છે, તે પણ ક્ષણિક ઉપાદાન છે. ૫) કર્મ તે દ્રવ્યકર્મની અવસ્થા નિમિત્ત છે અને જો કર્મના આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે.
જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે. યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. એક સમયના પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ છે. પ્ર. ૩ઃ કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર છે? ઉ. ૩ એ માન્યતા મિથ્યા છે, કેમ કે તે માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળને જ માન્યો તેથી તે માન્યતાવાળાને એકાંત કાળાદિ ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે. પ્ર. ૪: જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી ધર્મ થવાનો હશે ત્યારે થશે એ માન્યતા બરાબર છે? ઉ.૪ઃ ના; કેમ કે તે માનનાર જીવે પોતાનો જ્ઞાયક સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું, તેથી તે માન્યતાવાળાને એકાંત નિયતિવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યા છે. પ્ર. ૫ઃ પાંચ સમવાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય કોણ કોણ છે? ઉ. ૫ સામાન્ય જ્ઞાયક સ્વભાવ તે દ્રવ્ય અને બાકીના ચાર પર્યાય છે. પ્ર. ૬: જ્યાં સુધી દર્શનમોહ કર્મ માર્ગ ન આપે ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય એ માન્યતા બરાબર છે? ઉ. ૬ ના; એ માન્યતા મિથ્યા છે, કેમ કે તે જીવે પુરુષાર્થ વડે જ્ઞાયક સ્વભાવી આત્માની સન્મુખ થઈને એકી સાથે પાંચ સમવાય માન્યા નથી; તે માત્ર કર્મની ઉપશમાદિ અવસ્થાને જ માને છે. તેથી તેવા વિપરીત માન્યતાવાળા જીવને એકાંત કર્મવાદી (દેવવાદી) ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે. પ્ર. ૭ઃ ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? ઉ. ૭ઃ જિનેશ્વર દેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરવો. કેમ કે જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળલબ્ધિ, ભવિતવ્ય અને ઉપદેશાદિ કારણો મેળવવા પડતાં નથી; પણ જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને જે ઉપાય નથી કરતો તેને તો કોઈ પણ કારણો મળતાં નથી અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી એવો નિશ્ચય કરવો.
વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય, કર્મના ઉપશમાદિ મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો મળી આવે છે.