________________
૫૨૦
પરમાર્થ ધર્મધ્યાન નિર્વિકલ્પ છે. પરમાર્થ ધર્મધ્યાન વીતરાગ છે, ને તે જ મોક્ષનું સાધક છે. પ્ર. ૧૩ : મોક્ષનું કારણ સમભાવ છે એ સમભાવ કરીએ તો મોક્ષ થાય ને? ઉ. ૧૩ : સમભાવ એટલે વીતરાગતા. એ વીતરાગતા દ્રવ્યને પકડે ત્યારે થાય. દ્રવ્યના આશ્રય વિના વીતરાગતા ન થાય. સમભાવનું કારણ વીતરાગી સ્વભાવી ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવો અને પરનો આશ્રય છોડવો. આ ટૂંકામાં ટૂંકું છે. જ્ઞાન અને શ્રદ્ધા વગર ત્રિકાળીનો આશ્રય કરશે કેમ? પ્ર. ૧૪ઃ સમ્યગ્દર્શનનો વિષય શું છે? ઉ. ૧૪: ભૂતાર્થ એકરૂપ સામાન્ય ધ્રુવ ભગવાન આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે. ભેદરૂપ નવ તત્ત્વોમાં સામાન્યરૂપે રહેલું એટલે કે ધૃવરૂપે રહેલું તે જીવનું શુદ્ધ ભૂતાર્થ સ્વરૂપ છે. ‘શુદ્ધ જીવ’ તે સમ્યગ્દર્શનનો વિષય છે. પ્ર. ૧૫: ત્રિકાળી ધ્રુવ દ્રવ્યદષ્ટિમાં આવ્યો એવું ક્યારે કહેવાય? ઉ. ૧૫ : ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મદ્રવ્ય જેને દૃષ્ટિમાં આવ્યો તેને પર્યાયમાં આનંદનું વેદન આવે છે. એ ત્રિકાળી ધ્રુવ ભગવાન ઉપર દષ્ટિ પડે અને વેદનમાં આનંદનો અનુભવ થાય ત્યારે તેની દષ્ટિ દ્રવ્યની થઈ કહેવાય છે. જો આનંદનું વેદન ન આવે તો દષ્ટિ ધ્રુવ ઉપર ગઈ જ નથી. જેની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય તેને અનાદિનું રાગનું વદન હતું તે ટળીને આનંદનું વેદન પર્યાયમાં આવે ત્યારે તેની દષ્ટિમાં દ્રવ્ય આવ્યું છે. પણ વેદનમાં દ્રવ્ય આવતું નથી. તેથી પર્યાય દ્રવ્યને સ્પર્શ કરતી નથી.
પ્રભુની પર્યાયમાં પ્રભુનો સ્વીકાર થયો એ પર્યાયમાં પ્રભુનું જ્ઞાન આવે છે, પણ પર્યાયમાં પ્રભુનુંદ્રવ્યનું વેદન આવતું નથી, એટલે પર્યાય સામાન્ય દ્રવ્યને સ્પર્શતી નથી એમ કહ્યું છે. '
સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને આત્માને સ્વભાવ ભેદ છે. આ સમ્યગ્દર્શન અને શુદ્ધાત્મા અભેદ છે, પરિણતિ સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો છે, તેમાં ભેદ નથી.
જ્ઞાનના અંશને અંતરમાં વાળીને જેણે ત્રિકાળી દ્રવ્યની સાથે અભેદતા કરી છે તેને શુદ્ધ નય હોય છે. અને આવી અભેદ દષ્ટિ કરી ત્યારે શુદ્ધ નયનું અવલંબન લીધું એમ કહેવાય છે. પરિણતિ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થઈને જે અનુભવ થયો તેનું નામ શુદ્ધ નયનું અવલંબન છે. તેમાં દ્રવ્ય-પર્યાયના ભેદનું અવલંબન નથી.
દષ્ટિના વિષયમાં એકલું ધ્રુવ દ્રવ્ય જ આવે છે, પર્યાય તો દ્રવ્યનો વિષય કરે છે પણ પર્યાય ધ્રુવ દ્રવ્યમાં ભેગી આવતી નથી કેમ કે તે વિષય કરનાર છે. વિષય અને વિષયી બે જુદા છે.
શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. પરનું લક્ષ છોડી, પર્યાયનું લક્ષ છોડી, ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરે ત્યારે વીતરાગતા પ્રગટે છે.