________________
૩૩૫
૧૯. ભગવાન આત્મા અમૃતસાગરથી ભરેલો છે. તે અભેદ એકરૂપ પૂર્ણાનંદ વસ્તુ ભૂતાર્થ છે. તેને વ્યવહાર નય અન્ય રીતે પ્રગટ કરે છે. પર્યાયમાં જે રાગાદિ છે તે આત્માના છે, રાગને જાણે તે આત્મા છે અને આ ‘જ્ઞાન તે આત્મા’ એમ અનેક પ્રકારે અભૂત અર્થને પ્રગટ કરે છે. આ ચારેય પ્રકારનો વ્યવહાર અભૂતાર્થ હોવાથી એટલે કે તેનો વિષય સત્ય નહિ હોવાથી અર્થાત્ તેનો વિષય અસત્ય હોવાથી જે નથી તેવા અવિદ્યમાન અર્થને પ્રગટ કરતો હોવાથી જૂઠ્ઠો કહી, તેનું લક્ષ કરવાનું છોડાવ્યું છે. તેથી વ્યવહાર છે એમ જાણવા માટે છે, પણ આદરવા યોગ્ય નથી, આશ્રય કરવા લાયક નથી.
એમ સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે. તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી.
‘જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ; યહ વચન સે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.’
99
જિન પ્રવચન એટલે ભગવાન જિનેશ્વર દેવની દિવ્ય ધ્વનિનો મર્મ કહેતાં સાર એટલો છે કે - જિન સ્વરૂપ આત્મા છે, એટલે આત્મા વીતરાગ સ્વભાવ છે, તે ભૂતાર્થ છે - તેથી મુખ્ય છે. બાકી બધું કર્મ એટલે રાગાદિ છે, તે વ્યવહાર છે, અભૂતાર્થ છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. અહીં મુખ્યનું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે.
૨૦. ‘કેવળી ભગવાન પરને તો વ્યવહારથી જાણે છે, ને વ્યવહાર તો અભૂતાર્થ છે’ એમ શાસ્ત્રમાં આવે છે - તેનું શું સમાધાન છે ?
કેવળીને સ્વ-પરપ્રકાશક પુરું જ્ઞાન સામર્થ્ય ખીલી ગયું છે, તે જ્ઞાન કાંઈ અભૂતાર્થ નથી. શું જ્ઞાનનું પરપ્રકાશક સામર્થ્ય છે તે કાંઈ અભૂતાર્થ છે ? -નહિ. જેમ સમયસારની સાતમી ગાથામાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણભેદને પણ અભૂતાર્થ કહ્યો, તો શું આત્મામાં તે ગુણો છે જ નહિ ? છે તો ખરા. તેમ કેવળી ભગવાન પરને જાણે તેને વ્યવહાર કહ્યો, તો શું પરનું જાણપણું નથી ? પરને તો જાણે તો છે જ. કેવળી પરને જાણતાં જ નથી એમ નથી. કેવળીને પરનો આશ્રય નથી - પરમાં તન્મય થઈને જાણતાં નથી - પરની સન્મુખ થઈને નથી જાણતા - માટે પરપ્રકાશપણાને વ્યવહાર કહ્યો છે. પરપ્રકાશપણું જ્ઞાનનું જે સામર્થ્ય છે તે કાંઈ વ્યવહારથી નથી, તે તો નિશ્ચયથી પોતાનું સ્વરૂપ છે. ભગવાનના કેવળજ્ઞાનમાં ત્રણ કાળના પદાર્થોની નોધ છે. પરને જાણતાં કેવળીને કાંઈ પર તરફ ઉપયોગ નથી મૂકવો પડતો; પણ પોતાનું જ્ઞાનસામર્થ્ય જ એવું સ્વ-પરપ્રકાશક ખીલી ગયું છે કે સ્વ-પર બધું એક સાથે-વિકલ્પ વગર-જ્ઞાનમાં જણાય છે. પરને જાણવું તે કાંઈ વિકલ્પ નથી. કેવળી ભગવાનને જ્ઞાનનું સામર્થ્ય જ એવું પરિણમી રહ્યું છે કે રાગના વિકલ્પ વગર જ સ્વ-પર બધું પ્રત્યક્ષ જણાય છે.