________________
૧૩
૫. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, લાભનુકસાન કરી શકે નહિ, પ્રભાવ પાડી શકે નહિ, અસર, મદદ કે ઉપકાર કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ એવી દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે.
૬. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે; માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થવું.
૭. પહેલે ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રનો અભ્યાસ, વાંચન-મનન, જ્ઞાની પુરુષોનો ધર્મોપદેશ સાંભળવા, નિરંતર તેમના સમાગમમાં રહેવું, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે; પરંતુ પહેલે ગુણસ્થાને સાચા વ્રત, તપ વગેરે હોતા નથી.
૮. ઉપલક દૃષ્ટિએ જોનારને નીચેની બે શંકા થવાનો સંભવ છે ઃ (૧) આવા કથન સાંભળવાથી કે વાંચવાથી લોકોને ઘણું નુકસાન થવા સંભવ છે. (૨) હાલ લોકો જે કાંઈ વ્રત, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ ક્રિયા કરે છે તે છોડી દેશે. તેનો ખુલાસો આ પ્રકારે છે
:
‘સત્યથી કોઈપણ જીવને નુકસાન થાય એમ કહેવું તે ભૂલ ભરેલું છે અર્થાત્ અસત્ કથનથી લોકોને લાભ થાય એમ માનવા બરાબર થાય છે. સત્ સાંભળવાથી કે વાંચવાથી જીવોને કદી નુકસાન થાય જ નહિ અને વ્રત-પચ્ચક્ખાણ કરનારોઓ જ્ઞાની છે કે અજ્ઞાની છે તે જાણવાની જરૂર છે. જો તેઓ અજ્ઞાની હોય તો તેને સાચા વ્રતાદિ હોતાં જ નથી તેથી તે છોડવાનો પ્રશ્ન જ નથી. જો વ્રત કરનારા જ્ઞાની હશે. તો છદ્મસ્થદશામાં તે વ્રત છોડી અશુભમાં જશે તેમ માનવું ન્યાય વિરુદ્ધ છે. પરંતુ એમ બને કે તે ક્રમે ક્રમે શુભભાવને ટાળી શુદ્ધતાને વધારે. પણ તે તો લાભનું કારણ છે, નુકસાનનું કારણ નથી. માટે સત્ય કથનથી કોઈને નુકસાન થાય નહિ.’ આ કથનનું ખાસ મનન કરવાની જરૂર છે.
આ રીતે સમ્યગ્દર્શન-ભૂમિકાનું અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ કર્યા બાદ વિસ્તારથી વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું.
જે જીવ મોક્ષની પ્રાપ્તિ માટે આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ રત્નત્રયને ધારણ કરે છે અને કરશે તે મોક્ષ પામે છે અને પામશે. હવે જો શાંતિની(આત્મહિતની) ઇચ્છા હોય તો સર્વ પ્રકારના આગ્રહ છોડી આત્માનું કર્તવ્ય સમજી દરેક જીવે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવું જોઈએ.