________________
૨૭૦
લાગેલો રહે છે. નિજહિતની અપૂર્વ લગની લાગેલી હોવાથી અવશ્ય આત્મહિત સાધશે જ !
૧૩. અવલોકન કરનાર જ્ઞાન સ્વયંનું અવલોકન પણ કરે છે. ત્યાં પ્રથમ જ્ઞાનની વ્યાપ્તિના અનુભવને વારંવાર ઉદયના પ્રસંગોમાં તપાસે છે, તે તપાસણીરૂપ અભ્યાસની ફલશ્રુતિ એ પ્રકારે આવે છે કે મારું જ્ઞાન કોઈ પણ સંયોગી પદાર્થોમાં વ્યાપતું નથી; માત્ર સ્વને જાણવાની મર્યાદામાં રહે છે. તે વિકલ્પ પણ વિકલ્પ અનુસાર કાર્ય ભજે એવા શરીરાદિના પર્યાયોમાં વ્યાપતો નથી. આ રીતે કાર્યકારણમાં સ્વ-પરની ભિન્નતા અવલોકનથી સમજાતા જીવનો ઉદય કાર્ય કરવાનો રસ તૂટે છે અને તેવા પરિણામમાં પરપદાર્થો પ્રત્યેનું જોર ઘટી જાય છે. જ્યાં કોઈ પણ કાર્ય કરવામાં રસને જોર ન હોય ત્યાં તત્ સંબંધીત દુરાગ્રહ અને તીવ્ર કષાય રસ કેમ હોય ? આ રીતે દુરાગ્રહ અને કષાય રસ તૂટતો જાય છે - સ્વભાવ દરેક પ્રસંગે વિજ્ઞાનઘન થતો જાય છે.
૧૪. સર્વ દોષથી રહિત થવાની ભાવનામાં, પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનો અભિપ્રાય રહેલો છે. તેથી પૂર્ણ શુદ્ધતાનું લક્ષ - ધ્યેય દૃઢ મોક્ષ ઇચ્છામાં પરિણમિત થાય છે. સ્વરૂપ પ્રાપ્તિની આવી ભાવનામાં આત્મસ્વરૂપની ભાવના ગર્ભિત છે. તેથી મુમુક્ષુ જીવને પોતાનું મૂળ સ્વરૂપ ઓળખવાની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
૧૫. આવી જિજ્ઞાસાનો અંત જ્યાં સુધી ‘સ્વરૂપ નિર્ણય’માં ન આવે ત્યાં સુધી અતૃપ્ત જિજ્ઞાસા મુમુક્ષુ જીવને સર્વ ઉદય પ્રસંગમાં અને પાંચે ય ઇન્દ્રિયોના વિષય-વ્યાપારમાં નિરસ કરી દે છે. એટલું જ નહિ પણ એ સ્થિતિની તીવ્રતામાં પસાર થતાં ઊંઘ પણ ઉડી જાય છે. અર્થાત્ રાત-દિવસ તેનો આત્મા સ્વરૂપ શોધમાં લાગેલો રહે છે.
૧૬. નિર્મોહ સ્વરૂપની ખોજની તીવ્રતાને કારણે દર્શનમોહનો અનુભાગ યથાર્થપણે સારા પ્રમાણમાં ઘટે છે. તેથી જ્ઞાનમાં અનાદિથી રહેલાં અજ્ઞાન - અંધકારસમ પટલની ગાઢતા ઓછી થાય છે. અર્થાત્ આ ભૂમિકામાં જ્ઞાનસ્વરૂપ નિશ્ચય અર્થે નિર્મળ થાય છે. આવા મુમુક્ષુ જીવને અધ્યાત્મ શાસ્ત્રના ભાવો યથાર્થપણે ભાસે છે અને અધ્યાત્મરસ તેવા નિમિત્તોમાં વૃદ્ધિગત પણ થાય છે.
૧૭. દર્શનમોહનો અનુભાગ ઘટવાનો અતિ સુગમ અને સરળ ઉપાય સત્સંગના (પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના) યોગની આશ્રય ભાવનામાં વર્તે છે. દર્શનમોહના વિજ્ઞાન અનુસાર આ સિદ્ધાંત છે કે ‘‘દર્શનમોહ મંદ થયા વિના, વસ્તુસ્વરૂપનું ભાવભાસન થાય નહિ અને દર્શનમોહનો અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે તેમ નથી’' આત્મઅનુભવ થવા માટેનો આ અનિવાર્ય ક્રમ છે. તો આ રીતે મુમુક્ષુ જીવ દર્શનમોહ મંદ થવા સુધીની અને વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાની સ્થિતિએ પહોંચ્યો છે. ‘“હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’’ આ છે તત્ત્વનો યથાર્થ નિર્ણય. ૧૮. ઉપરોક્ત પાત્રતામાં આવેલો મોક્ષાર્થી જીવ અંતર સંશોધનમાં ઊંડો ઉતરે છે ત્યારે સ્વયંના ‘જ્ઞાનલક્ષણથી’ જ્ઞાનસ્વભાવી આત્માનો યથાર્થ નિર્ણય વિધિપૂર્વક કરે છે. આ વિધિનું પ્રસિદ્ધ નામ ‘ભેદજ્ઞાન’ છે.