________________
૨૫૪
જ
૨૪. આત્માની પ્રતીતિ જેને થઇ ગઈ છે તેને પાછળથી વિકલ્પ આવે ત્યારે પણ જે આત્મદર્શન થઈ ગયું છે તેનું તો ભાન છે, એટલે તે આત્માનુભવ પછી વિકલ્પ ઉઠે તેથી સમ્યગ્દર્શન ચાલી જતું નથી. કોઈ વેશ કે વાડામાં સમ્યગ્દર્શન નથી પણ સ્વરૂપ એ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ૨૫. સમ્યગ્દર્શનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કર્યા પછી પણ શુભ ભાવ આવે ખરા, પરંતુ આત્મહિત તો જ્ઞાનસ્વભાવનો નિશ્ચય કરવાથી જ થાય છે. જેમ જેમ જ્ઞાનસ્વભાવની દઢતા વધતી જાય તેમ તેમ શુભ ભાવ પણ ઢળતા જાય છે. બહારના લક્ષે જે વેદન થાય તે બધું દુઃખરૂપ છે, અંદરમાં શાંતરસની · મૂર્તિ આત્મા છે તેના લક્ષે જે વેદન થાય તે જ સુખ છે. સમ્યગ્દર્શન તો આત્માનો ગુણ છે, ગુણ તો ગુણીથી જુદો ન હોય. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન છે.
જ
-
શુદ્ધાત્માનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો જે કહો તે આ એક આત્મા જ છે. જે કાંઈ છે તે આ આત્મા જ છે, તેને જ જુદા જુદા . નામથી કહેવાય છે. કેવળપદ, સિદ્ધપદ કે સાધુપદ એ બધા એક આત્મામાં જ સમાય છે. આ પ્રમાણે આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન સર્વ ધર્મનું મૂળ છે, સમ્યગ્દર્શન જ આત્માનો ધર્મ છે.
૯. સ્વાનુભૂતિની વિધિ (સંક્ષેપ) :
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું ?
૧. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કરવો.
૨. દરેક જીવ સુખને ઇચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી.
૩. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણવું.
૪. જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય કરવાનું વગેરે બધું આવી જાય છે.
૫. આગમનું અવલંબન કરી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો. ‘હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું.’
૬. નિર્ણય તે પાત્રતા છે. આ છે સ્વરૂપની સાચી સમજણ. આ છે જ્ઞાનદશાનું પ્રથમ પગથિયું.
૭. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય. કષાય ઉપશાંત થયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા’ આ છે ઉપશમ દશા.
૮. હવે આત્માનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગને સીમીત કરવાનો મહાવરો થવો જોઈએ.