SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ૧૪. મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાનસ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ સમ્યક્ત્વનો માર્ગ છે. ૧૫. દેવ-ગુરુ-શાસ્ત્ર વગેરે પરપદાર્થો તરફનું લક્ષ તથા મનના અવલંબને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને, મર્યાદામાં લાવીને પોતાના તરફ વાળવું તે અંતરઅનુભવનો પંથ છે અને તે જ સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે. ૧૬. મતિ અને શ્રુતજ્ઞાનનો જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે. પરંતુ પહેલાં તે પર તરફ વળતાં, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાના આ ક્રમસર પગથિયાં છે. ૧૭. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. ૧૮. માત્ર એક જ્ઞાનસ્વભાવને જ પકડીને(લક્ષમાં લઇને)નિર્વિકલ્પ થઇને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં શુદ્ધાત્માનો અનુભવ કરવો. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં જ તે વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આ જ જન્મ મરણ ટાળવાનો ઉપાય છે. ૧૯. સમસ્ત વિભાવ ભાવોનું લક્ષ છોડીને જ્યારે આ આત્મા વિજ્ઞાનઘન પરમાત્મા સ્વરૂપ સમયસારને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે. જ ૨૦. એકલો જાણક સ્વભાવ છે. તેમાં બીજુ કાંઇ કરવાનો સ્વભાવ નથી. અને જાણવામાં પણ સ્વ સિવાય કાંઇ જણાતું નથી. જ્યારે એવા જ્ઞાનસ્વભાવની પ્રતીત-લક્ષ થાય ત્યારે તેનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ અનુભવ થયા પહેલાં આવો નિશ્ચય કરવો જોઈએ. ૨૧. આ સિવાય બીજી માને તેને વ્યવહારે પણ આત્માનો નિશ્ચય નથી. અનંત ઉપવાસ કરે તો ય આત્માનું જ્ઞાન ન થાય, બહારમાં દોડાદોડી કરે તેનાથી પણ જ્ઞાન ન થાય, ગુરુની અને અરિહંતની ભક્તિ, સેવા-પૂજા કર્યા જ કરે તો પણ આત્મઅનુભવ ન થાય, પણ જ્ઞાનસ્વભાવની પક્કડથી જ જ્ઞાન થાય. ૨૨. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન ક્યાંથી થાય ? આત્માનો અનુભવ તે કાર્ય છે. આત્માનો નિર્ણય તે ઉપાદાનકારણ છે અને શ્રુતનું અવલંબન તે નિમિત્ત છે. એટલે જે નિર્ણય કરે તેને ફળરૂપે અનુભવ થાય-કાર્ય થાય. આવી ઉપાદાન-નિમિત્તની સંધિ છે અને આવું કારણ-કાર્યનું સ્વરૂપ છે. ૨૩. પહેલાં દેવ-ગુરુ-શાસ્ત્રોના નિમિત્તોથી અનેક પ્રકારે શ્રુતજ્ઞાન જાણે અને તે બધામાંથી એક આત્માને તારવે, પછી તેનું લક્ષ કરી પ્રગટ અનુભવ કરવા માટે, મતિ-શ્રુતજ્ઞાનના બહાર વળતા પર્યાયોને સ્વસન્મુખ કરતો તત્કાળ નિર્વિકલ્પ નિજસ્વભાવરસ આનંદનો અનુભવ થાય છે. પરમાત્મા સ્વરૂપનું દર્શન જે વખતે કરે છે તે વખતે આત્મા પોતે સમ્યગ્દર્શનરૂપ પ્રગટ થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy