________________
૨૪૧
૧૪. સાચું સુખ પ્રાપ્ત કરવા આ જીવે પરોન્મુખી દષ્ટિ છોડીને પોતાના આત્મા - સ્વયંને જાણવો પડશે; કારણ કે પોતાનું સુખ પોતામાંથી મેળવવું પડશે - એ પોતાનો ગુણ છે.
૧૫. સાચું સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય પોતાના આત્માને - પોતાના સ્વરૂપને જોવું અને જાણવું અને તે સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યપ્ચારિત્રની એકતાને વાસ્તવિક સુખ પ્રગટ કરવાનો મોક્ષમાર્ગ કહ્યો છે.
૧૬. સાચું સુખ તો આત્મા દ્વારા અનુભવની વસ્તુ છે, તે કહેવાની દેખાડવાની વસ્તુ નથી. સુખ એ અનુભવનો વિષય છે. સમસ્ત પરપદાર્થોથી દૃષ્ટિ હટાવી અંતર્મુખ થઈ આપણા પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્મામાં તન્મય થઈ આ સુખની અનુભૂતિ થઈ શકે છે. આત્માનું જેવું સ્વરૂપ છે એ જ્ઞાન અને શ્રદ્ધામાં આવવું જોઈએ. આ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ, અનંત આનંદનો કંદ છે. આનંદમય છે, સુખમય છે એટલે કે આત્માનુભૂતિ(સ્વાનુભૂતિ) જ સુખાનુભૂતિ છે. આત્માનુભૂતિ-સમ્યગ્દર્શન એ જ સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે.
૧૭. ઊંડાણથી વિચાર કરવામાં આવે તો એ પ્રતીત થાય છે કે આત્માને સુખ ક્યાંથી પણ પ્રાપ્ત કરવું પડતું નથી. તે પોતે જ સુખથી બનેલો છે, સુખમય છે, સુખ જ છે. જે પોતે સ્વયં સુખમય-સુખસ્વરૂપ હોય તેને સુખ મેળવવું શું ? માત્ર એ જાણી એની શ્રદ્ધા કરી એનો અનુભવ કરવાનો છે - એ જ સમ્યગ્દર્શન છે - આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ.
૧૮. સુખ શું છે ? સુખ ક્યાં છે ? સુખ પ્રાપ્તિનો ઉપાય શું ? આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે ‘આત્માનુભૂતિ’.
૧૯. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રથમ ઉપચાર ‘તત્ત્વ વિચાર’ છે. સ્વરૂપની સમજણ - હું કોણ છું ? પોતાના સત્ સ્વરૂપની અનુભૂતિ.
૨૦. પછીની ભૂમિકામાં તદ્નુસાર યોગ્ય પુરુષાર્થ - એ જ ઉપાય છે.
સૌથી પ્રથમ ‘અજ્ઞાનતામાં' જે વાતો છે તે સમજવી પડશે.
૧) પ્રથમ મૌલિક ભૂલ એ છે કે અનંત ગુણવાળા ચૈતન્યતત્ત્વને પોતાનો નથી માનતો પણ જડ શરીરને અને પરપદાર્થોને પોતાનું અસ્તિત્વ માની લીધું છે.
૨) જીવની બીજી અજ્ઞાનતા એ મિથ્યા માન્યતા પર આધારિત છે કે ‘સુખ-દુઃખ’‘પર’માંથી આવે છે અને ‘પર’દ્રવ્યનું અનૈચ્છિક પરિણમન મને કષાય કરાવે છે.
૩) જીવની ત્રીજી અજ્ઞાનતા પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી અર્થ વગરના રાગ-દ્વેષના પરિણામ ઊભા કરવા તે છે.
૪) જીવની ચોથી અજ્ઞાનતા એની કર્તૃત્વ બુદ્ધિ છે. તે પોતાના જ્ઞાનસ્વરૂપને ઓળખતો નથી અને પરના કર્તાની મિથ્યા માન્યતા છે.