________________
૧૮૬
‘‘આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.’ ૧૦. આત્માર્થી જીવને દુર્લભ સત્સમાગમની પ્રાપ્તિનો અને આત્માની પુષ્ટિ કરવાનો, શાંતિના વેદનનો આ સોનેરી અવસર છે. તેને હવે એક જ પ્રયોજનભૂત કાર્ય લાગે છે - બસ આ એક જ !
“કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ.’’
બધા જ ઉદયોમાંથી રસ છોડીને સમયે સમયે સ્વને યાદ કરીને - સ્વરૂપને સાંભરીને રાગથી જુદા ચૈતન્યભાવનું અંતર વેદન કરવું. જેમ જેમ ઊંડે ઉતરતા, મારો આત્મા જે આનંદનો મહાસાગર છે તેમાં ડૂબકી મારીને તેના એક ટીપાંનો સ્વાદ લેતાં ચૈતન્ય આનંદનો કોઈ અપૂર્વ સ્વાદ વેદાય છે, તો આખા આનંદના દરિયાની શી વાત !
કોઈ ધગધગતા તાપમાંથી શીતળ પાણીના સરોવરમાં ડૂબકી મારે અને તેને ઠંડક અનુભવાય તેમ આ સંસારમાં અનાદિથી અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયના તાપમાં બળતો અજ્ઞાની જીવ ચૈતન્યનું ભાન કરીને શાંત સ્વભાવમાં ડૂબકી મારે છે ત્યાં તેને અપૂર્વ આનંદ - સુખ - શાંતિ અનુભવાય છે.
अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप । अनुभव मारग मोखकौ, अनुभव मोख सरुप ॥ वस्तु विचारत ध्यावतैं, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ ૧૧. ધર્મી જીવ ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ પોતાના ચૈતન્ય તત્ત્વની શાંતિને ચૂકતા નથી. સંયોગ અને રાગ-દ્વેષ વચ્ચે ધર્માત્માનું જ્ઞાન તે જ્ઞાન જ રહે છે. ધર્મી જીવને ચૈતન્યના આનંદની એવી ખુમારી હોય છે કે દુનિયા કેમ રાજી થશે અને દુનિયા મારા વિષે શું ધારશે અને શું બોલશે તે જોવા રોકાતા નથી. લોકલાજને છોડીને એ તો પોતાની ચૈતન્યની સાધનામાં મશગુલ છે. તેઓ અંદરથી નિર્ભય છે, હવે બહારના સંયોગોની શંકા નથી.
૧૨. જેમ આકાશની વચ્ચે અદ્ધર અમૃતનો કૂવો હોય તેમ મારું ચૈતન્ય ગગન નીરાવલંબી આનંદના અમૃતથી ભરેલું છે, તે આનંદના સ્વાદ લેવામાં વચ્ચે રાગાદિના આલંબનની જરૂર રહેતી નથી. પોતાના કાર્ય માટે બીજાની મદદ માંગવી કે બીજાના મદદની અપેક્ષા રાખવી, બીજાનું અવલંબન માંગવું તે તો કાયરનું કામ છે. મોક્ષના સાધકો શૂરવીર હોય છે. સ્વાવલંબને જ તેઓ મોક્ષમાર્ગ પર ચાલવાનો પુરુષાર્થ કરે છે. અનુભવ વસ્તુ જ એવી છે કે બીજાની હાજરી પણ ત્યાં બાધક છે. પોતાના સ્વયં એકાગ્રતાના પુરુષાર્થથી અનુભવ પમાય છે.
૧૩. જેને આત્માની લગની લાગી છે એવા જીવને આત્માની અનુભૂતિ સિવાય બીજા કોઈ પરભાવોમાં કે સંયોગોમાં ક્યાંય ચેન પડતું નથી. તેને પોતાના ચૈતન્યની જ ધૂન લાગેલી હોય છે. ઉદયના વિચિત્ર પ્રસંગો વખતે પણ એ પોતાના સ્વભાવને છોડતો નથી. એને એક આત્મહિતની વાત જ મુખ્ય છે. તેને જ્ઞાન અને વિકલ્પની ભિન્નતા ભાસતી હોવાથી તેમાં વિકલ્પનો એક અંશ પણ મારા જ્ઞાનનું કાર્ય નથી એ શ્રદ્ધા કાયમ છે. આવા નિર્ણયના જોરે રાગથી છૂટો પડીને જ્ઞાન સ્વભાવનો અનુભવ કરે છે.