________________
૧૫૭
સાર:
૧) ઔપશમિક સમ્યગ્દર્શન ઃ તે દશામાં મિથ્યાત્વ કર્મના તથા અનંતાનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય છે તેમ અથવા જેમ અગ્નિને રાખથી ઢાંક્યો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે.
૨) ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનઃ તે દશામાં મિથ્યાત્વ અને મિશ્ર મિથ્યાત્વ કર્મના રજકણો આત્મપ્રદેશોથી છૂટા પડતાં તેનું ફળ આવતું નથી. અને સમ્યક્ મોહનીય કર્મના રજકણો ઉદયરૂપ હોય છે. તથા અનંતાનુબંધી કષાય કર્મના રજકણો વિસંયોજનરૂપે હોય છે.
૩) ક્ષાયિક સમ્યગ્દર્શન ઃ તે દશામાં મિથ્યાત્વ પ્રકૃત્તિના(ત્રણ પેટા વિભાગોના) રજકણો આત્મપ્રદેશોથી તદ્ન ખસી જાય છે. તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની સાતે પ્રકૃત્તિનો ક્ષય થયો કહેવાય છે. આવી રીતે સ્વપર્યાયની લાયકાતના અપેક્ષાએ સમ્યગ્દર્શનના આ ત્રણ ભેદ સમજાવવામાં આવ્યા છે. ૩. ચારિત્ર દશાની અપેક્ષાએ સમ્યગ્દર્શનના ભેદ :
સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને આત્માની-તત્ત્વની પ્રતીત એક સરખી હોય છે તો પણ ચારિત્ર દશાની અપેક્ષાએ તેઓના બે ભેદ પડે છે. ૧) વીતરાગ સમ્યગ્દર્શન ૨) સરાગ સમ્યગ્દર્શન.
સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે; ત્યારે રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી; જીવની આ દશાને ‘વીતરાગ સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ પોતામાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાના કારણે તે દશાને ‘સરાગ સમ્યગ્દર્શન' કહેવામાં આવે છે.
સમ્યગ્દષ્ટિને રાગ સાથે જોડાણ હોય ત્યારે ચાર પ્રકારના શુભ ભાવ હોય છે. ૧) પ્રશમ ૨) સંવેગ ૩) અનુકંપા અને ૪) આસ્તિકય.
પ્રથમ
: ક્રોધ, માન, માયા અને લોભ સંબંધી રાગ-દ્વેષાદિનું મંદપણુ.
સંવેગ : સંસાર એટલે વિકારી ભાવોનો ભય.
અનુકંપા ઃ પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ ઉપર દયાનો પ્રાદુર્ભાવ.
આસ્તિકય : જીવાદિ તત્ત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ વડે માનવું તે આસ્તિકય.
સરાગ સમ્યગ્દષ્ટિને આ ચાર પ્રકારના રાગમાં જોડાણ હોય છે, તેથી આ ચાર ભાવોને ઉપચારથી સમ્યગ્દર્શનના લક્ષણ કહેવામાં આવે છે. નિશ્ચય સમ્યગ્દષ્ટિનું ખરું લક્ષણ પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ છે. શુભ રાગથી ધર્મ થાય કે ધર્મમાં સહાય થાય એમ સમ્યગ્દષ્ટિ જીવ કદી માનતા નથી.