________________
૧૦૧
–
આવીને સ્વયં પ્રાપ્ત થાય છે; તે સર્વેને આ જીવ પોતાના જાણે છે, પણ એ બધા તો પોતપોતાને આધીન હોવાથી કોઇ આવે, કોઇ જાય તો કોઇ અનેક અવસ્થારૂપે પરિણમે, તે ક્રિયા તેમને આધીન છે, આ જીવને આધીન નથી, તો પણ તેને પોતાને આધીન માનીને આ જીવ ખેદ-ખિન્ન થાય છે. ૨. આ જીવ પોતે જેમ છે તેમ પોતાને માનતો નથી પણ જેમ નથી તેમ માને છે તે મિથ્યાદર્શન છે. પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુસ્વરૂપ છે; તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો સંયોગ થયો છે એવા આ શરીરાદિ પુદ્ગલ કે જે પોતાથી પર છે - એ બન્નેના સંયોગરૂપ મનુષ્ય,તિર્યંચાદિ અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે, તેમાં આ મૂઢ જીવ પોતાપણું ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી. શકતો નથી; જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. એ પર્યાયમાં (૧) જે જ્ઞાનાદિ ગુણો છે તે પોતાના ગુણો છે, (૨) જે રાગાદિક ભાવો થાય છે તે વિકારી ભાવો છે તથા (૩) જે વર્ણાદિ છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે અને (૪) શરીરાદિમાં પણ વર્ણાદિનું તથા પરમાણુઓનું પલટવું ઘણા જુદા જુદા પ્રકારે થાય છે; તે સર્વે પુદ્ગલની અવસ્થા છે; આ બધાને આ જીવ પોતાનું સ્વરૂપ માને છે; સ્વભાવ અને પરભાવનો વિવેક કરતો નથી; વળી પોતાથી પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન ધનાદિ -કુટુંબાદિનો સંયોગ થાય છે તેઓ પોતપોતાને આધીન પરિણમે છે; તથા આ જીવને આધીન થઈ પરિણમતા નથી; છતાં પણ તેમાં આ જીવ મમકાર કરે છે કે ‘આ બધા મારા છે’ પણ એ કોઈ પણ પ્રકારથી તેના થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જીવ તેને પોતાના માને છે
•
૩. મનુષ્યાદિ અવસ્થામાં કોઈ વેળા દેવ-ગુરુ-શાસ્ત્ર અથવા ધર્મનું જે અન્યથા કલ્પિત સ્વરૂપ હોય તેની તો પ્રતીત કરે છે પણ તેઓનું જે યથાર્થ સ્વરૂપ છે તેની પ્રતીત કરતો નથી.
૪. જગતની દરેક વસ્તુ અર્થાત્ દરેક દ્રવ્યો પોતપોતાને આધીન પરિણમે છે, પણ આ જીવ તેમ માનતો નથી અને પોતે તેને પરિણમાવી શકે અથવા કોઈ વખતે અંશે પરિણમાવી શકે એમ માને છે.
ઉપર પ્રમાણે બધી માન્યતા મિથ્યાદષ્ટિની છે. પોતાનું અને પરદ્રવ્યોનું જેવું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે.
૬. પાંચ બુદ્ધિઓનું મિથ્યા સ્વરૂપ ઃ
જીવ અનાદિકાળથી અનેક શરીર ધારણ કરે છે, પૂર્વનું છોડી નવીન ધારણ કરે છે; ત્યાં એક તો પોતે આત્મા (જીવ) તથા અનંત પુદ્ગલ પરમાણુમય શરીર-એ બન્નેના એક પિંડ બંધનરૂપ એ અવસ્થા હોય છે; તેમાં તે સર્વમાં ‘આ હું છું’ એવી અહં બુદ્ધિ કરે છે તેને ‘એકત્વ બુદ્ધિ’ કહેવામાં આવે છે.
જીવ તો જ્ઞાન સ્વરૂપ છે અને પુદ્ગલ પરમાણુનો સ્વભાવ વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિ છે, એ સર્વને પોતાનું સ્વરૂપ માની ‘આ મારા છે’ એવી મમ બુદ્ધિ કરે છે તેને ‘મમત્વ બુદ્ધિ’ કહેવાય છે.
હાલવું-ચાલવું ઇત્યાદિ ક્રિયા શરીર કરે છે તેને ‘હું કરું છું’ એમ જીવ માને છે. તેવી જ રીતે બીજા બધા દ્રવ્યો સ્વતંત્રપણે સ્વાધીન પરિણમે છે છતાં આ જીવ તેમનો કર્તા અજ્ઞાનપણે પોતે થાય છે. ‘હું કરું,