________________
આનંદઘનજી મહારાજાનું હરિયાલી પ્રકારનું એક પદ છે. આમ તો તેની બધી પંક્તિઓમાં દર્શનિક સંદર્ભ રહેલો છે. પણ, તેમાંની એક પંક્તિ વાંચતા ગૌતમસ્વામી અચૂક યાદ આવી જાય. તે પંક્તિ છેસાસુ કુંવારી, વહુ પરણેલી...
ગૌતમને કેવા ભવ્ય ગુરુ મળ્યા ! જે જગદ્ગુરુને અસર્વજ્ઞ કહીને તેમણે ભાંડ્યાં તે ગુરુ નિર્વાણ પામ્યા ત્યારે ગૌતમસ્વામી સર્વજ્ઞ બન્યા. જાણે કે, શિષ્યને સર્વજ્ઞ બનાવવા તે ખુદ નિર્વાણ પામી ગયા..
ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ તરીકે ગૌતમ અહંકારજન્ય દ્વેષ લઇને પ્રભુ પાસે ગયા તો પ્રભુએ કેવો મીઠો-મધુરો આવકાર આપ્યો ! આવો, ઇન્દ્રભૂતિ ! તમે સુખેથી પધાર્યા ? તાવ દ્વેષનો હતો એટલે એન્ટીષ ટ્રીટમેન્ટ આપી. પણ પછી તો ગૌતમસ્વામી પ્રભુના પરમ રાગી બની ગયા. અને તે રાગને કારણે જ તેમનું કેવલજ્ઞાન અટકતું હતું. તેથી તે રાગનો તાવ ઉતારવા પ્રભુએ તેમને કહ્યું: જા ગૌતમ ! દેવશર્માને પ્રતિબોધ કરી આવ. કેવી એન્ટીરાગ ટ્રીટમેન્ટ ! દ્વેષનો તાવ ઉતારવા-આવ ગૌતમ ! રાગનો તાવ ઉતારવા-જા ગૌતમ! ગૌતમનો પ્રભુ પરનો દ્વેષ તૂટ્યો ત્યારે સમ્યગ્દર્શનનાં અજવાળાં થયાં અને તેમનો પ્રભુ પરનો રાગ તૂટતાં કેવલજ્ઞાનનાં અજવાળાં થયાં.
આત્મકલ્યાણની સાધનામાં સહાયક બને તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉપકરણ કહેવાય. અને, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આત્મકલ્યાણની સાધનામાં પ્રતિરોધક બને તે અધિકરણ કહેવાય. રજોહરણ ઉપકરણ છે. પરંતુ ઉદાયિરાજાના ઘાતક વિનયરને તેને અધિકરણ બનાવ્યું. છરી અધિકરણ છે. પરંતુ, ચામડી ઉપર ચોંટેલા મકોડાને બચાવવા છરીથી પોતાની ચામડી કાપીને કુમારપાળ રાજાએ તે ક્ષણે છરીને ઉપકરણ બનાવ્યું. સાધનાના માર્ગમાં અહંકાર એ ભાવ-અધિકરણ છે અને પ્રભુ પ્રત્યેની પ્રીતિ એ ભાવ-ઉપકરણ છે. પણ, ગૌતમસ્વામીનાં જીવનમાં અહંકારે ઉપકરણની ભૂમિકા ભજવી અને એક અપેક્ષાએ પ્રભુ-પ્રીતિએ અધિકરણની !
સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજયપ્રેમ