________________
આ માત્ર શબ્દવૈભવ નથી. આપણી જીવન પરંપરાનો સંદેશ આ શબ્દસમૃદ્ધિમાંથી વહે છે. સ્ટીલપ્લેટ, પ્લાસ્ટિકડીશ કે પેપરડીશના પનારે પડેલી પેઢીને જાણ થાય કે, આપણે ત્યાં મુખ્યત્વે ધાતુનાં અને માટીનાં વાસણોનો વપરાશ હતો. ધાતુમાં પણ મુખ્યત્વે કાંસાનાં, તાંબાનાં અને પિત્તળનાં વાસણો વપરાતા. શ્રીમંત પરિવારો ચાંદીનાં વાસણો પણ વસાવતા અને તેમાં જ રોજનું ભોજન કરતા.
આ પ્રકારનાં વાસણો વાપરવાની પાછળ આરોગ્યનો હેતુ રહેલો હતો. માટીનાં વાસણો આરોગ્યપોષક હોવાની સાથે સ્વાદપોષક પણ હતા. માટીની હાંડલીમાં રાંધેલી ખીચડી કે માટીની તાવડી પર બનાવેલા બાજરીના રોટલાની મીઠાશ જૂદી જ હોય.
ધાતુનાં વાસણો સમૃદ્ધિનું પ્રતિક ગણાતા. લોકો પોતાની બચત કે મૂડીનું રોકાણ વાસણોમાં કરતાં. શ્રીમંતોનાં ઘરની અભરાઈઓ પર વાસણોની લાંબી પંક્તિ ગોઠવાયેલી રહેતી. વાસણો કિંમતી ધાતુનાં હોવાથી તે વાસણો જીર્ણશીર્ણ થતા તેના ભંગારની પણ પૂરી રકમ ઊપજે.
ગામમાં કોઈના ઘરે લગ્નાદિ પ્રસંગો હોય ત્યારે જમણવાર માટે થાળી-વાટકાવાસણો પરસ્પર એકબીજાને ઉપયોગી બનતા. સહાયકભાવના જળવાયેલી રહેતી.
* વિવિધ આકારનાં, વિવિધ પ્રકારનાં અને નકશીકામ વગેરેથી યુક્ત કલાત્મક વાસણોના નિર્માણ દ્વારા કંસારાકોમ અને કુંભારકોમની કલાકસબની પરંપરા વહેતી રહી. - કેટલાય વાસણોની સાથે કેટલીક સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓ જોડાયેલી
હતી.
રામપાતર, કોડિયું કે કુલડીનો ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગ થતો. તે જ રીતે તાંબાના લોટા કે લોટીનો પણ. કોડિયાના સંપુટ લગ્નાદિની વિધિમાં જરૂરી બને. કોઈ મૃત્યુ પામે ત્યારે તેની અંતિમયાત્રામાં દોણીમાં દેવતા લઈને એક વ્યક્તિ આગળ ચાલે.
માથે બેડું લઈને પાણિયારી સામે મળે તેને શુભ શુકન ગણવામાં આવે છે.
ભાષાની સાથે સંસ્કૃતિ કેટલી સંલગ્ન હોય છે, તેનો અંદાજ આવી શકે છે. આપણી સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં ક્યારેક સંઘર્ષ થાય ત્યારે સમાધાન માટે કહેવાતું 'વાસણ થોડા ખખડે પણ ખરા. આજે વિભક્ત કુટુંબ વ્યવસ્થા અને પ્લાસ્ટિક સંસ્કૃતિ સમાંતર ચાલે છે.
Pભવ્ય ભાષા માતૃભાષા
પ૯