________________
કહ્યું કે, આ નગરમાં એક જૈન ધર્મના બહુ જ પ્રભાવિક “શ્રીપૂજ્ય રહે છે. તેમને મળીએ તો આપણું કામ ફતેહ થાય.
આથી બધા વિદ્વાનો એકત્ર થઈ એ વૃદ્ધ મહાત્માના ઉપાશ્રય આવ્યા. અને રાજાના પ્રશ્નનો ખુલાસોં પૂછયો, ત્યારે તેમણે કહ્યું કે, “તમે કોઇ પ્રકારની ચિંતા કરશો નહિ, પરંતુ આવતી કાલે કચેરી ભરાય ત્યારે મને બોલાવજો, એટલે હું તે પ્રશ્નનો ખુલાસો કરી આપીશ.”
આ સાંભળી બધા વિદ્વાનો બહુજ ખુશ થયા, સૌ પોતપોતાના સ્થાનકે ગયા. ત્યારે એ વૃદ્ધ મહાપુરૂષે ભક્તામર સ્તોત્રના ૨૦ મા શ્લોકનું વિધિ પૂર્વક આરાધન કરી તેમણે શાસન દેવીને બોલાવી તે પ્રશ્નનો જવાબ મેળવી લીધો.
બીજે દિવસે જ્યારે કચેરી ભરાઈ ત્યારે એ વૃદ્ધ મહાત્મા પણ ત્યાં પધાર્યા, એટલે રાજાએ પોતાના પ્રશ્નનો ખુલાસો માગ્યો. ત્યારે વૃદ્ધ “શ્રી પૂજ્ય” ઉભા થઈ ને કહ્યું, કે “હે રાજન્ ! આજથી બારમા દિવસે તારી રાણીને એક તેજસ્વી પુત્ર અવતરશે, અને તારી પછી તે રાજા થઈ સુંદર રીતે રાજ્ય ચલાવશે. તેની નિશાની તરીકે તમારા રાજ્યનો મુખ્ય હાથી પટ્ટહસ્તી મરણ પામશે.
રાજા આ જવાબ સાંભળી બહુજ ખુશ થયો, અને આખા નગરમાં પ્રથમથી જ ઉત્સવ ઉજવવાની તૈયારી કરવા લાગ્યો.
એક પછી એક એમ ૧૧ દિવસો પસાર થયા અને બારમા દિવસે પ્રભાતમાં રાજ્યના મુખ્ય હાથી એકાએક મરણ પામ્યો અને તેજ વખતે રાણીને પુત્ર અવતર્યો.
રાજા આ જાણીને બહુજ ખુશ થયો અને તેજ દિવસે કચેરી બોલાવી બધા સભાજનો સહિત તે વૃદ્ધ મહાત્માના ઉપાશ્રયે ગયા. અને વંદન કરી તેમનું બહુમાન કર્યું.