________________
(૨) આ ગ્રંથોમાં, જે સૌથી પ્રાચીન છે તે, આનંદગિરિ અથવા અનંતાનંદગિરિનાં ગ્રંથનો સમય ઈ. સ. ૧૨૬૦ છે;
(૩) આ સર્વ “શંકરદિગ્વિજય”-ગ્રંથોમાં આચાર્યશ્રીનાં જીવન વિશેની જે ઘટનાઓનું આલેખન થયું છે, તે પણ મહદંશે દંતકથા-ચમત્કાર-કિંવદન્તી કક્ષાની અલૌકિક, અદ્ભુત અને અભૂતપૂર્વ છે, એટલું જ નહીં પણ એ સર્વ, અત્ર-તંત્ર થોડા ફેરફારો સિવાય, લગભગ એકસરખી છે.
શંકરાચાર્યનો સૌથી મોડો જીવન-સમય (૭૮૮-૮૨૦) સ્વીકારીએ તો, આ સર્વ ગ્રંથો તેમના પછી ચાર-પાંચ શતકો બાદ રચાયા છે, અને જો આચાર્યનો ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદી(ઈ. સ. પૂર્વે ૫૦૯)નો જન્મ-સમય સ્વીકારીએ તો, આ બધા ગ્રંથો અને ગ્રંથકારોનો સમય આચાર્યશ્રી પછી દોઢથી બે હજાર વર્ષો પછીનો ગણાય !
અને આ બધા ગ્રંથોમાંથી જે ગ્રંથ સૌથી સુપ્રસિદ્ધ, લોકપ્રિય, કાવ્યચાતુર્યપૂર્ણ અને જેમાં આલિખિત ઘટનાઓને મોટા ભાગના આધુનિક વિદ્વાનો અને પંડિતો પ્રેમાદરપૂર્વક સ્વીકારે છે, અને નિરૂપે છે તે, માધવીય “શંકરદિગ્વિજય”નો સમય તો નિશ્ચિત જ નથી !
એક ચોખવટ, – હૃદયપૂર્વકની ચોખવટ, - આરંભમાં જ કરી દઉં : આદ્ય શ્રીશંકરાચાર્યનાં જીવનની અદ્ભુત, અલૌકિક અને લોકોત્તર સિદ્ધિઓ વિશે મારાં મનમાં, અણુના અબજગણા અલ્પ અંશ જેટલી પણ શંકા નથી. એ સર્વ સંપૂર્ણરીતે શિરસાવંઘ અને નતમસ્તકે સ્વીકાર્ય જ છે. હું તો એમ કહેવા-સ્વીકારવા પણ તૈયાર છું કે આચાર્યશ્રીની જીવન-કારકિર્દી આ બધાં “દિગ્વિજયો”માં આલિખિત જીવનકારકિર્દી કરતાં અનેકગણી અધિક ઉજ્જ્વળ અને યશસ્વી છે. આચાર્યશ્રી એક વિરલ વિશ્વવંદ્ય વિભૂતિ, યુગપુરુષ, મહામાનવ અને વિશ્વમાનવ (Citizen of the World) હતા, એની ઘોષણા છાપરે ચઢીને, અંગ્રેજી રૂઢિપ્રયોગને પ્રયોજીને કહું તો, from the roof-top, કરવામાં પણ મને કશો જ વાંધો નથી. એમના પ્રત્યે મારાં હૃદયમાં સંપૂર્ણ આદર, અહોભાવ અને મુગ્ધભાવ છે.
પરંતુ આ બધા “દિગ્વિજય”-ગ્રંથોના લેખકો કોણ ? એમાંના મોટા ભાગના લેખકો તો સામાન્ય કક્ષાના મનુષ્યો જ હતા. પોતાના સમય પહેલાંના, ૪૦૦-૫૦૦ વર્ષો અથવા દોઢ-બે હજાર વર્ષો પહેલાંના સમયમાં બનેલી ઘટનાઓને જોઈ શકે એવાં ક્યાં ‘દિવ્ય ચક્ષુઓ' તેમની પાસે હતાં ? તે સૌને શું આવું કોઈ ‘ઈશ્વરી વરદાન' હતું ? આવાં વરદાનનો, એ બધાંમાંથી કોઈએ, ક્યાંય, ઉલ્લેખ કર્યો નથી; એટલું જ નહીં પણ એવાં બધાં આલેખન માટેનું એમનું પ્રાપ્તિસ્રોત (Source)
૧૦ | વિવેકચૂડામણિ