________________
2′
બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થાય છે. ‘હું પરબ્રહ્મ છું અને સર્વ કાંઈ પરબ્રહ્મ જ છે' એવી જ્ઞાનનિષ્ઠાને બ્રહ્મનિષ્ઠા કહેવાય છે. પરંતુ જે એવું માને કે ‘માત્ર હું જ બ્રહ્મ છું કે હું જ મુક્ત છું અને બીજા બધા બંધનમાં છે, હું જ્ઞાની છું અને બીજા બધા મૂર્ખ કે અજ્ઞાની છે' એને જ્ઞાનનિષ્ઠા કે બ્રહ્મનિષ્ઠા ન કહેવાય. સ્વસ્વરૂપથી તો બધા જીવો મુક્ત છે પરંતુ કેટલાકે જાણવાનો પ્રયાસ કર્યો નથી, મુક્તિની દિશામાં જવાનો પ્રયત્ન કર્યો પણ હોય, છતાં સાચી દિશાના અભાવે કે અધિકા૨ી ન હોવાને લીધે પોતાના મુક્ત સ્વરૂપને જાણતા નથી. અજ્ઞાની જીવો ભલે ન જાણતા હોય પરંતુ જ્ઞાનીની દૃષ્ટિમાં સર્વ કાંઈ બ્રહ્મ જ છે, માટે કોઈ બંધનમાં હોઈ શકે નહીં. તાત્પર્ય એ છે કે જેની દૃષ્ટિમાં હું અને સમસ્ત જીવસમુદાય સહિત જગત, નિત્યમુક્ત પરબ્રહ્મ જ છે, તેને બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. આવી બ્રહ્મનિષ્ઠા પૂર્વોક્ત ચાર સાધનો હોય તો જ પ્રાપ્ત થાય છે. આ સાધનોનાં અભાવમાં કોઈ પણ ઉપાય કરીને મોક્ષની પ્રાપ્તિ થતી નથી માટે જે કોઈ મોક્ષ મેળવવા માગતા હોય તેમણે સાધનચતુષ્ટય સંપન્ન અધિકારી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.
મોક્ષ માટે આ ચાર સાધનો સિવાય બીજો કોઈ અધિકાર મહત્ત્વનો નથી. આપણે ક્યાં રહીએ છીએ? શું કરીએ છીએ? આપણી જાતિ શું છે? ગોત્ર કયું છે? આ બધું મહત્ત્વનું નથી. વ્યાસજી માછણના પુત્ર હતા, કબીરજી વણક૨નો ધંધો કરતા હતા, છતાં જ્ઞાની હતા. આપણી પાસે વિવેક, વૈરાગ્ય, ષસંપત્તિ અને મોક્ષની ઇચ્છા હોય તો કુળ ગોત્ર, જાતિ, વર્ણ, ધંધો કે બીજી કોઈ પણ બાબત મોક્ષપ્રાપ્તિમાં નડતરરૂપ બની શકે નહીં. જેણે પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી મુક્ત થવું હોય તેના માટે આ ચાર જ સાધનોની આવશ્યકતા છે. જો કોઈ એમ વિચારે કે, ‘આ ચાર સાધનો પ્રાપ્ત કરવા ઘણાં મુશ્કેલ છે, એનાં કરતાં કોઈ સંતને ખુશ કરી માથા પર હાથ મુકાવી લઈએ કે શક્તિપાત કરાવી લઈએ તો સહેલાઈથી કલ્યાણ થઈ જાય પરંતુ માથા પર સંતનો હાથ મુકાવવાથી કે શક્તિપાત કરાવવાથી જ્ઞાન થઈ શકે તેમ નથી. શાસ્ત્રોની સ્પષ્ટ વાત છે કે એવું કંઈ કરવાની જરૂર નથી અને શંકરાચાર્યજી પણ કહે છે કે જે અધિકા૨ી હોય તેને જ જ્ઞાન પ્રાપ્ત