________________
છે.
કહેવાય છે. જે લોકો આ માર્ગે જવાનો પ્રયત્ન કે પ્રયાસ કરતા હોય, તેમજ જે લોકો આ માર્ગે આવ્યા બાદ હવે નિષ્ફળતા અને નિરાશા અનુભવતા હોય, તેમણે અધિકારીના લક્ષણો સારી રીતે જાણવા જોઈએ. જેઓ મોક્ષમાર્ગના પથિક થઈ ચૂક્યા છે તેવા સાધકોએ પોતાના અધિકારનો વિચાર કરવાનો કે આપણા અધિકારમાં ક્યાં ખામી છે? આપણી પાત્રતામાં ક્યાં દોષ છે? પોતાના દોષ જોવા એ સાચા સાધકનું લક્ષણ છે. જે પામર હોય તે જ અન્ય પર દોષારોપણ કરે છે કે, “શાસ્ત્રોમાં ખામી છે', “ગુરુમાં દોષ છે’ ‘પેલો ખરાબ છે.” સાચા સાધકે બીજા પર દોષારોપણ ન કરતાં પોતાના દોષ કે ત્રુટિ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. સિદ્ધની દષ્ટિમાં કોઈ દોષવાન નથી કે નિર્દોષ નથી, કોઈ સારો નથી કે કોઈ ખરાબ નથી, બધું એકવત છે. અન્યને દોષ દેવામાં પામરતા છે, અંત:કરણની શુદ્ધિ ઇચ્છતા સાધકે તેનાથી દૂર રહેવું જોઈએ. જે પામર છે તે પોતાની પાત્રતાનો વિચાર કર્યા વિના, અન્યનો દોષ જુએ છે. સાધકે પોતાની પાત્રતાનો વિચાર કરવો જોઈએ અને શાસ્ત્રમાં કહેલાં અધિકારીના લક્ષણો સંપાદન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાચી દશા પ્રાપ્ત કરવા માટે સાચી દિશા શોધવી ખૂબ જરૂરી છે અને સાચી દિશા શોધવા માટે યોગ્ય અધિકાર પ્રાપ્ત કરવો અનિવાર્ય છે. અધિકારીની વાત કરતાં શંકરાચાર્યજી કહે છે કે જેનામાં વિવેક, વૈરાગ્ય, સમાદિ ષટ્સપત્તિ અને મોક્ષની પ્રબળ ઇચ્છા હોય તેવો મનુષ્ય બ્રહ્મજિજ્ઞાસાનો અધિકારી કહેવાય છે. ઉપરોક્ત ચાર સાધનોને સાધનચતુષ્ટય કહેવામાં આવે છે. સાધનચતુષ્ટય સંપન્ન અધિકારી હોય તે જ મોક્ષમાર્ગે સફળતાના શિખર પર આરોહણ કરી શકે છે, એવા અધિકારીને ઉત્તમ અધિકારી કહેવાય છે. ઉપરોક્ત સાધનોમાંથી જેની પાસે એકાદ ન હોય તો તે પણ અધિકારી કહેવાય, પરંતુ તે મધ્યમ અધિકારી છે. જેની પાસે એકાદ સાધન હોય અને અન્ય સાધન સંપાદન કરવા પ્રયત્નશીલ હોય તેને મંદ અધિકારી કહેવામાં આવે છે. જેની પાસે એક પણ સબળ સાધન ન હોય અને છતાં પ્રયત્નશીલ હોય તે કનિષ્ઠ અધિકારી છે. આ પ્રમાણે ચાર પ્રકારના અધિકારી હોય છે. હવે સાધનચતુષ્ટયની અનિવાર્યતા કહેવામાં આવે છે.