________________
કર્યા પછી આત્માનો અનુભવ થવો અને બ્રાહ્મીસ્થિતિની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. આ બ્રાહ્મી સ્થિતિની પ્રાપ્તિને મોક્ષ કે મુક્તિ કહે છે અને આવી મુક્તિ, સો કરોડ જન્મના સદાચારથી સંચિત કરેલા પુણ્યો વિના મળી શકે તેમ નથી.
ઉપરોક્ત મુશ્કેલીની હારમાળા અને દુર્લભતાની પરાકાષ્ઠા જોઈને હિંમત હારવાની જરૂર નથી. અનેક જન્તુઓમાં નરજન્મ દુર્લભ અવશ્ય છે પરંતુ જેઓ મનુષ્યયોનીમાં જ છે તેમને તો નરજન્મ મળી જ ચૂક્યો છે. મોક્ષ અતિ દુર્લભ છે એવું કહેવા પાછળનો શંકરાચાર્યજીનો ઉદ્દેશ મોક્ષને પરમ પુરુષાર્થ ગણાવી, મોક્ષની મહત્તા બતાવી મનુષ્ય માત્રને મોક્ષને માર્ગે પ્રેરણા પ્રદાન કરવાનો જ છે.
મનુષ્યજન્મ દુર્લભ છે, આમ કહેવાયાથી આપણને પ્રશ્ન થાય કે મનુષ્યોની સંખ્યા ઘણી મોટી છે તો મનુષ્યજન્મને દુર્લભ કેમ મનાય? દિન પ્રતિદિન માનવ વસ્તી તો સમગ્ર વિશ્વમાં અને વિશેષ કરીને ભારત અને ચીનમાં અગણિત રીતે વધતી જાય છે. તો પછી મનુષ્યજન્મની દુર્લભતા ક્યાં રહી? અત્રે સમજવાનું કે સમગ્ર જીવસૃષ્ટિના સંદર્ભમાં મનુષ્યજન્મને દુર્લભ કહેવામાં આવ્યો છે. સમુદ્રમાં નજર કરીએ તો બેસુમાર, આપણે કલ્પના ન કરી શકીએ એટલાં, અસંખ્ય માછલાંઓ હોય છે. અરે! સદીઓથી એને પકડતા આવ્યા છીએ છતાં ઓછાં થતાં નથી, તેને પકડવા મોટાં મોટાં ખાતાઓ ખોલાય છે. છતાં તેની સંખ્યામાં ઓટ આવતી નથી. ચોમાસામાં એક નાનો ખાડો ખોદતાં અળસિયાં જેવા નાનાં નાનાં અસંખ્ય જંતુઓ જોવા મળે છે. અવકાશમાં પણ અસંખ્ય બારીક જીવાત છે.આકાશ, પૃથ્વી, જળ બધે જ જંતુઓ છે. આપણા પેટમાં, ચામડી ઉપર, માથામાં ખોડારૂપે, સર્વત્ર જંતુ જ જંતુ છે. એક લસ્સીનો પ્યાલો પીવાથી લાખો બેક્ટરિયા પેટમાં જાય છે તેથી અત્રે પ્રસ્તુત શ્લોકમાં સ્પષ્ટતા છે કે માત્ર મનુષ્ય જ જીવ નથી બલકે તમામ સજીવ, ચેતનવંતા પશુપંખી અને પ્રાણીઓને લક્ષ્યમાં રાખી અહીં અનંતકોટિ યોનિઓના સંદર્ભમાં તમામ જંતુઓને ગણી તેમાં મનુષ્યજન્મને શ્રેષ્ઠ માની