________________
૨૦૧
જ મૃત્યુને શરણ થઈ અન્યનું ભક્ષ્ય બની જાય છે. તો માનવી, ફળ, ફૂલ કે દાળ-ચોખા જેવા અનાજ માત્રને ભક્ષ્ય બનાવવાથી અટકતો નથી પરંતુ જળચર, ભૂચર અને ખેચર જેવા તમામને પોતાનું ભક્ષ્ય બનાવવા આજે સર્વત્ર ભટકી રહ્યો છે અને નવા નવા ખાદ્યપદાર્થોની શોધખોળમાં નિમગ્ન થયો છે. માટે જ તેણે કપાસિયાં અને સૂરજમુખીના પુષ્પમાંથી પણ તેલ કાઢવાનો પ્રયત્ન કર્યો. ડૉલ્ફીન, વ્હેલ અને શાર્ક જેવી માછલીનો શિકાર કરવા તે પાણીમાં પડ્યો, સસલાં, હરણ જેવા પ્રાણીઓને પકડવા જંગલ ભણી દોડ્યો. અરે! શાસનકર્તાઓએ પણ મત્સ્ય-ઉદ્યોગ, મરઘાં- ઉછેર, ઘેટા-બકરાં અને પશુપાલન જેવા કેન્દ્રો ઊભા કર્યા અને યાંત્રિક કતલખાનાઓની વણઝાર ઊભી કરી. તે વિશેના પ્રધાનો નિમાયા. આ બધું માત્ર સ્વાદેન્દ્રિયને સંતોષવા થયેલી હિંસાનો આધુનિક વૈજ્ઞાનિક પ્રયાસ નથી તો અન્ય શું? આમ વિચારતા સ્વાદ અને રસમાં આસક્ત બનેલા માનવીએ જે ઘોર હિંસા આદરી છે તેથી સર્જાતો તેનો અધોગતિ કે વિનાશનો પંથ કોણ રોકી શકશે!
' હરણ શબ્દથી, હાથી સ્પર્શથી અને માછલી રસ કે સ્વાદ દ્વારા આસક્ત થઈ “સ્વ”ના જીવનને હણે છે કે પોતાની સદાકાળ બંધ રહેનારી કારાવાસ સર્જે છે તો ભમર પોતાની સુંવાળી મૃત્યુગોદ માટે ઘાણેન્દ્રિયના વિષય ગંધનો આધાર લે છે. જે ભ્રમરમાં લાકડાંના મોટા થાંભલા કોતરી અને કાણું પાડવાનું સામર્થ્ય રહેલું છે તે જ ભ્રમર કમળના કોમળ પાંદડામાં કમળપત્રની સુગંધથી સુગંધનો આસ્વાદ લેતો લેતો એવું તો શયન કરે છે કે એને ખ્યાલ નથી આવતો કે સંધ્યા થવા આવી છે અને કમળની પાંદડીઓ બીડાઈ જશે. તેથી સુગંધમાં આસક્ત ભ્રમર કમળપુષ્પની સુગંધ છોડીને ઊડી જતો નથી. કારણ કે તે કમળની ખુબોનો બંધાણી થઈ ચૂક્યો છે. તેના રૂપનો માદક થઈ ચૂક્યો છે. માટે જ કોમળ કમળપત્રને તે શયનખંડ બનાવે છે અને જોતજોતામાં કમળ બિડાઈ જાય છે. સૂર્યાસ્ત થાય છે પરંતુ કોમળ કમળપત્રનું ભેદન કરી ભ્રમર બહાર નીકળી શકતો