________________
૧૫૯
બધું જ હોવા છતાં પોતે કંઈક એવી મૂંઝવણ અનુભવે છે કે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તેને જણાતો નથી. આવા સમયે મોટાભાગના લોકો પોતાના પ્રશ્નોનું સમાધાન બાહ્ય જગતમાં શોધે છે. પોતાના દુઃખનો ઉપાય પદાર્થોની પ્રાપ્તિમાં કે પછી મિત્રો સાથેની ચર્ચામાં શોધે છે. પરંતુ કોઈક પુણ્યશાળી, પૂર્વ કર્મોના પ્રતાપે દુઃખમાંથી મુક્તિનો કે બંધનમાંથી છૂટવાનો ઉપાય શાસ્ત્રશ્રવણ દ્વારા, ગુરુના ચરણમાં શરણાગતિ સ્વીકારી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા શોધે છે. આવો સદ્વિચાર પ્રાપ્ત થતાં ગુરુચરણમાં મસ્તક નમાવી દુઃખને નિર્મૂળ કરવા ઉદ્યમી બનેલા શિષ્યને ખરેખર ધન્યવાદ ઘટે છે. માટે જ ગુરુ જણાવે છે કે, “હે વત્સ! બંધનમાંથી છૂટવા માટે તે જે સાહસ કર્યું છે તથા તારા સ્વરૂપને જાણવાની તને જે પાવન જિજ્ઞાસા જાગી છે તે માટે તું ખરેખર ધન્ય છે. તું કૃતકૃત્ય છે એટલું જ નહીં તારા હૃદયમાં આવો ભાવ જાગવો તે તારા પવિત્ર પૂર્વસંસ્કારનું પરિણામ છે. તેથી પ્રિય વત્સ! તારું કુટુંબ પણ ધન્ય છે. દુઃખમાંથી ક્ષણિક મુક્તિના ઉપાય માટે કોઈ ખોટાં માર્ગે, અધઃપતનના પંથે પ્રયાણ ન કરતાં જ્ઞાનપ્રાપ્તિની સાત્ત્વિક ઇચ્છા પ્રાપ્ત કરી તું ભવોભવનું બંધન કાપવા તત્પર થયો છે, તેથી કૃતકૃત્ય થવા તત્પર થયેલા તને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. ખરેખર તે તારા કુટુંબ પરિવારને, આ સમાજને, તારી માતૃભૂમિને તથા દેશને ઋણમુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
જ્ઞાનપંથે આગળ વધવાનો વિચાર ધરાવતો શિષ્ય, જો ધન્યવાદને પાત્ર હોય તો જ્ઞાનને પામી ચૂકેલા જ્ઞાની માટે તો કહેવું જ શું? શિષ્યનું અજ્ઞાન નિવૃત્ત કરવા કૃપા વરસાવતા, તેમજ સમાજમાં ઘર કરી ગયેલી ખોટી પ્રથા કે કુરિવાજોને નાબૂદ કરી ગેરમાર્ગે દોરાયેલા સમાજને સન્માર્ગે વાળવાનો પ્રયત્ન કરતાં સાચા સર્વજનહિતકારી સંતો વિશે તો બોલવું જ શું? તેમ છતાં સાચી સેવા શું? તેની હકીકતથી અજાણ સમાજ, શાળાઓ ખોલવી, અસ્પતાલો બંધાવવી, કૂવા-વાવ ખોદાવવા, મંદિરો ઊભા કરવા તથા ચીજવસ્તુઓની વહેંચણી કરવી, તેવી પ્રવૃત્તિને જ સેવા સમજે છે. તદુપરાંત બ્રહ્મવિદ્યા પ્રદાન કરી, અજ્ઞાન નિર્મૂળ કરી, તે દ્વારા સમાજમાં શાંતિ સ્થાપી આત્મીયતા