________________
પ્રસ્તાવના
મુક્તક કાવ્ય સ્વરૂપ અને પ્રકાર
સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય એટલે મુક્તક કવિતાના ભર્યા ભંડાર. હજારોનાં હજારો મુક્તકો. લૂંટનારા થાકે પણ ખૂટે જ નહીં. ગુણવત્તા પણ એવી કે કેટલુંક તો વિશ્વસાહિત્યમાં ય નિઃશંક સ્થાન પામે. મુક્તતા
મુક્તક કાવ્ય માત્ર એક જ શ્લોકનું હોય. પોતાના પગ પર ઊભેલી એક જ કડી, બીજા કોઇના આધારટેકો કે સંબંધસાંકળ વિનાની. એક છૂટા, મુક્ત શ્લોકનું કાવ્ય હોવાથી તે “મુક્તક' કહેવાયું. સુભાષિત, સદુક્તિ કે સૂક્તિ એવાં નામે પણ તે ઓળખાય છે, કેમ કે તે એક સુંદર, સરસ ઉક્તિ હોયછે. છંદ અનુસાર મુક્તક ચાર કે બે પંક્તિનું જ હોય અને તેમાં જ તેનો બધો અર્થ, જે કાંઈ કહેવાકરવાનું હોય તે સમાવેલ હોય.
બીજાં લઘુ કાવ્યો, મધ્યમ કાવ્યો કે મહાકાવ્યોમાં શ્લોકો અર્થની દૃષ્ટિએ સ્વાયત્ત નહીં, પણ એકબીજા સાથે સંકળાયેલા હોય છે, સંદર્ભ-નિયત હોય છે. એ નિબદ્ધ પ્રકારો કે પ્રબંધકાવ્યોના વિરોધ મુક્તક કાવ્ય અનિબદ્ધ હોય છે – અભિવ્યક્તિનું એક સ્વતંત્ર એકમ હોય છે. આનંદવર્ધનની વ્યાખ્યા પ્રમાણે, બીજા સાથે જે સંકળાયેલું ન હોય, જેનો અર્થ સ્વયંસંપૂર્ણ હોય – એટલે કે જેમાં અર્થની આકાંક્ષા અધૂરી રહેતી ન હોય તે મુક્તક. " આનો અર્થ એવો નથી કે મુક્તકછૂટક છૂટક જ રચાયેલાં હોય, અથવા તો તે એકલોઅટૂલા શ્લોક રૂપે જ હોય. અનેક શ્લોકોની બનેલી દીર્ઘ પ્રબંધરચનાઓમાં પણ આગળપાછળના સંદર્ભ પર અવલંબતા હોય તેવા શ્લોકોની સાથોસાથ એવા પણ પુષ્કળ શ્લોકો હોય છે, જે પ્રત્યેક સ્વયંસંપૂર્ણ હોય અને એકશ્લોકી કાવ્ય તરીકે માણી શકાય તેવા હોય. સંસ્કૃતપ્રાકૃત મહાકાવ્યો, નાટકો વગેરે મુક્તકમાં ખપે તેવા આ પ્રકારના શ્લોકથી સભર છે. તે એટલે સુધી કે એ સમગ્ર સાહિત્યને મુક્તકપ્રધાન સાહિત્ય કહેવા કોઈ સહેજે લલચાયુ.