________________
મનની વાત
મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત આ ‘શાન્તસુધારસ' ગ્રંથ, વર્ષોથી મારા સ્વાધ્યાયનો પ્રિયગ્રંથ છે. આ ગ્રંથ ઉપર બોલવું, વિવેચના કરવી, પ્રવચનો આપવા, લખવું, આ ગ્રંથને અવાર-નવાર ગાવો, ગાનમાં ડૂબી જવું...પંક્તિઓ ગણગણવી... આ બધું મારા માટે અપૂર્વક આલ્હાદક અને આંતરિક તૃપ્તિ આપનાર બન્યું છે.
૨૪ પ્રવચનોનો પહેલો ભાગ જ્યારે ઓકટોબર ૧૯૯૬માં પ્રકાશિત થયો ત્યારે કલ્પના પણ ન હતી કે બીજો ભાગ ચાર મહિનામાં જ તૈયાર થશે. શારીરિક અવસ્થતાનું સાતત્ય તત્ત્વચિંતનમાં તો ડૂબવા દે છે, પરંતુ એ ચિંતનને અક્ષરાંકિતા કરવા માટે જોઈએ એટલો સાથ નથી આપતું !
આમાંનાં ૨૫ થી ૩૬ પ્રવચનો ડુમસ (સૂરતથી ૧૮ કી.મી.દૂર)માં શ્રી નવીનભાઈ શ્રોફનાં બંગલામાં લખાયાં હતાં, એ વખતે અમે ત્રણ મહિના ત્યાં રહ્યાં હતા. ત્યાં ચંદુલાલ અંબાલાલ શાહ પરિવારે (ધીરૂભાઈ, ભૂપેન્દ્ર, જસવંત)-સારી સેવા ભક્તિનો લાભ લીધો હતો. મુંબઈના ભરત પાનાચંદ શાહે પણ સારો સહયોગ આપ્યો હતો.
આમ લેખનકાર્ય થોડું થોડું પણ આગળ વધતુ હતું, પરંતુ સૂરતથી અમદાવાદના વિહારમાં તબિયત બગડતાં પાછું બધું અટકી ગયું.
જુલાઈ-૭ (૧૯૯૬)ના અમદાવાદ જ્યારે આવ્યા ત્યારે તો તબિયત વધુને વધુ બગડતી જતી હતી. ચાતુર્માસ માટે અશોકભાઈ રતિલાલ કાપડિયાના શાંત - એકાન્ત વાતાવરણવાળા ખાલી બંગલામાં (શ્યામલ રો હાઉસ-BA) પ્રવેશ કર્યો ત્યારે પણ અંતરમાં મથામણ ચાલતી હતી કે હવે “શાન્ત સુધારસ’ ઉપર લખાશે કે નહીં? મારા અંતેવાસી મુનિ ભદ્રબાહુને હું કહેતોઃ “હવે હું નહીં લખી શકું અધુરું લખવાનું તું પુરું કરજે....મારી આંખો ભીની થઈ જતી. ત્યારે ભદ્રબાહુ ખૂબ દ્રઢતાથી કહેતોઃ “આપ જરૂર લખી શકશો. આપના ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની કૃપા છે.” એ મને ખૂબ હિંમત આપતો રહ્યો. પ્રસન્નતા આપતો રહ્યો. મને હસાવતો રહ્યો. અને મારા અંતેવાસી મુનિ પધરત્નવિજયજી મારી ખૂબ જ કાળજીપૂર્વક સેવા કરતા રહ્યા. સુશ્રાવક અશોકભાઈ કાપડિયા,સુશ્રાવિકા દેવીબેન તથા તેમનો પરિવાર તથા એમના પરિવારજનો ભક્તિ-વૈયાવચ્ચમાં તત્પર રહ્યા. ડૉકટરોએ પણ ખૂબ કાળજી લીધી અને લે છે.
આ બધાં પરિબળો તો બાહ્ય છે. સહુથી વિશેષ તો પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની અચિંત્ય કૃપા, શાસન-અધિષ્ઠાયક શ્રીમાણિભદ્રજી યક્ષરાજ તથા