________________
પણ વિષયની ઇચ્છા, પૃહા, તૃષ્ણા પેદા થતાં આર્તધ્યાન શરૂ થાય છે. વિષયરાગથી કષાય ઉત્પન્ન થાય છે. કષાય વધતાં રૌદ્રધ્યાન આવી જાય છે.
જ્યારે મન વિષય-કષાયથી ભરાઈ જાય છે ત્યારે સમાધિ રહેશે ક્યાં? સમતાઅમૃતનું પાન કેવી રીતે થઈ શકે ? તે તો ઘોર અશાન્તિનું વિષપાન જ કરતું રહેશે. અનંત ભવોથી જીવે એવું વિષપાન જ કર્યું છે. જો એ જીવમાં જ્ઞાનવૃષ્ટિ ખૂલી જાય... તો તે સમતા-અમૃતનું પાન કરી શકે છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે વિષયલોલુપતા દૂર થાય. વિવેકશોભા અખંડિત રહે. વિષયલોલુપતા નષ્ટ થતાં વિવેકશોભા અખંડ રહેશે. જો કે વિષયલોલુપતા ન રહે તો આર્તધ્યાન રહેતું નથી, આર્તધ્યાન ન રહે તો રૌદ્રધ્યાન ન ટકે. વિષયલોલુપતા દૂર કરવા માટે વિષયોની બાબતમાં ચિંતન કરીને નિર્ણય કરો કે - વિષય નાશવંત છે, ક્ષણિક છે. - વિષયોનો રાગ ઘાતક હોય છે. - વિષયભોગ વિષભોગ જેવો છે. - વિષયભોગોથી કદીય આત્મતૃપ્તિ થતી નથી.
આ રીતે વિષયોની અનિષ્ટતાનો વારંવાર વિચાર કરવાથી વિષયો પ્રત્યે વૈરાગી બનશો. વિરક્ત બનશો. વિષયલોલુપ નહીં રહો. આર્તધ્યાન નહીં રહે. વિવેકશોભા કાયમી રહેશે અને સમતા-અંકુર હૃદયમાં જન્મ લેશે.
બસ, આજે આટલું જ.
શાન્તસુધારસ : ભાગ ૧ |
૬૭