________________
ૐ ૐ નમઃ
શ્રેણી ક્રમાંક-૩૯
જૈનમ જ્યતિ શાસનમ
અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-૧3
નૈવેદ્ય પૂજા આદિ દ્વારા પ્રભુનો સત્કાર કરવાનો છે અને અંતે ભાવપૂજા દ્વારા પ્રભુનું સન્માન કરવાનું છે.
નિર્વેદ એટલે વેદ વગરનું. પાંચ ઈન્દ્રિયોની અંદરની આસકિત તોડવાનું કામ નેવેદ્ય પૂજા કરી આપે છે. એક ભાઈને ખાવાની લાલસા ખૂબ સતાવે. તેમને એક આચાર્ય ભગવંતે ટૂચકો આપ્યો કે ૫૦ કી. બુંદીના લાડવાનો ૧ મોટો લાડવો બનાવીને ભગવાનને ચડાવી દયો અને ખરેખર! સહુના આશ્ચર્ય વચ્ચે આ પૂજા દ્વારા એમની રસનેન્દ્રિય ઉપર જબરો કાબૂ આવી ગયો.
બજારું પીપરમીંટ, ચોકલેટ વગેરે ન મૂકવા. તેમાં પણ સિન્થટીક કલરો, અભક્ષ્ય પદાર્થો આવવાની પૂરી શકયતાઓ રહેલી હોય છે. આ પૂજા કર્યા પછી નૈવેદ્ય વગેરે એવી જગ્યાએ મૂકવા જોઈએ જેથી કીડી મકોડાની જયણા બરોબર થાય. (૯) ફળ : ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ઘરી રાગ
પુરુષોત્તમ પૂજી કરી, માંગે શિવફળ ત્યાગ. વૃક્ષનું અંતિમ સંપાદન ફળ છે તેમ આપની ફળપૂજાના પ્રભાવે મને પણ આ સંસારના અંતિમ લક્ષ્ય રૂપી મોક્ષની પ્રાપ્તિ થાઓ. ઉત્તમ જાતિના, કોહવાયા વગરના ફળો ચડાવવા. તુચ્છ ફળો નહીં ચડાવવા, હાથમાં નહીં પણ થાળીમાં રાખવા પૂર્વક વિધિપૂર્વક ફળપૂજા કરવી. પૂજાના દ્રવ્યો નાભિ નીચે નહીં લાવવા. થાળીમાં શુદ્ધ કપડાથી ઢાંકીને લઈ આવવા ઊચિત લાગે છે. - અનાદિકાળથી આ જીવે દેહાત્મબુદ્ધિ અને પુદ્ગલમાં સુખબુદ્ધિ ધારણ કરીને સદા ઈન્દ્રિય અને દેહને ગમતું ભૌતિક સુખ જ માંગ્યું છે. આપના દર્શન પૂજનથી મારી આંખો હવે ખુલી છે. જેથી મારી ભૌતિક સુખો મેળવવાની લાલસાનો જડમૂળથી નાશ કરો. પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસે વિષયોને ભોગવવાનો લોભ દૂર કરી મને આપની દરેક ક્રિયા કે અનુષ્ઠાનનું ફળ મોક્ષ આપો. ચામર પૂજા : ચામર વિંઝે મન રીઝે, વીંઝે થઈ ઉજમાળ,
ચામર પ્રભુ શીર ઢળતાં, કરતાં પુણ્ય ઉદય થાય. ચામરને ઉપરથી નીચે અને નીચેથી ઉપર વીંઝવાનો છે એટલે કે જે સારા કર્મો કરશે તે ઉપર જશે અને ખરાબ કર્મો કરશે તે નીચે જશે. જેમ ચામર નમીને ઊંચે જાય છે તેમ હું પણ લળીલળીને નમસ્કાર કરીને ઊર્ધ્વગતિમાં જવાની ખેવના કરું છું. ચામર પૂજા કરનારને કોઈ ચમરબંધીની સેવા કરવી નથી પડતી.
દર્પણ પૂજા : મારું દર્પ - અભિમાન તને અર્પણ કરું છું. ભગવાન મારા દીલદર્પણમાં આપ પધારજો. વસ્ત્ર પૂજા : વસ્ત્ર યુગલની પૂજના, સુરિયા સ્વરે કીધ,
ત્રીજી પૂજા કરીને, રત્નત્રય વર લીધું. કાપડ ખરીદવા જતાં પહેલાં આપણે ભગવાનના અંગલુછણાં ખરીદવા જોઈએ. તૈયાર મીલના કપડાના કેમિકલ વગેરે વપરાતાં હોવાથી મહાહિંસક પદાર્થોમાંથી એ બનતા હોય છે. ફેકટરીનું પાપ તો લાગતું જ હોય છે. તેથી શકય હોય તો હાથવણાટના ખાદીના મુલાયમ કપડા વાપરવા જોઈએ. ઘરે જેમ બધાના ટુવાલ અલગ અલગ હોય છે તેમ ભગવાનના મંગલુછણા (કમસેકમ મોટા ભગવાનોના) અલગ અલગ હોય તે વધુ ઈચ્છનીય છે.
હાલ કોઈ કરતું નથી પણ બે સુંદર વસ્ત્રો દ્વારા પ્રભુની વસ્ત્રપૂજા કરવાનું અનેક ગ્રંથોમાં વિધાન આવે છે.