________________
અશરણઅનુપ્રેક્ષા ચિંતવન જેમ બીજા જીવોને સ્ત્રી, પુત્રાદિકનો વિયોગ દેખીએ છીએ, તેમ મારે પણ વિયોગમાં કોઈ શરણ નથી. અશુભકર્મની ઉદીરણા થતાં બુદ્ધિ નાશ થાય છે, પ્રબળ કર્મનો ઉદય થતાં એક ઉપાય કામ નથી આવતો. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે. પોતાના વહાલા મિત્ર પણ વેરી થઈ પરિણમે છે, અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે, ત્યારે મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પોતાની મેળે પ્રગટ થાય છે. વેરી મિત્ર થઈ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે. તે પુણ્યકર્મનો પ્રભાવ છે.
પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ન નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઈ પરિણમે છે.
સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે.
પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષી માત્ર રહો, હર્ષ અને ખેદ કરો નહીં. પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદય આવ્યાં છે. પોતાનાં કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઇલાજ નથી. કર્મના ફળ, જે જન્મ, જરા, મરણ, રોગ, ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કોઈ સમર્થ નથી. કર્મનો ઉદય આકાશ, પાતાલ, કે ક્યાંય પણ નથી છોડતો. ઔષધાદિક બાહ્ય નિમિત્ત, અશુભ કર્મનો ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચોર, ભીલ, વેરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે, જલચરાદિક પાણીમાં મારે; પણ અશુભ કર્મનો ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજાદિક સામંતોની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં ક્યાંય પણ નથી છોડતો. આ લોકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા વૈક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મનો ઉદય તો સર્વત્ર જાય છે. પ્રબળ કર્મનો ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કોટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કોણ રોકે ? તેમ કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણ ગ્રહણ કરો, તો અશુભ કર્મની નિર્જરા થાય, અને નવો બંધ ન થાય. રોગ, વિયોગ, દારિદ્રય, મરણાદિકનો ભય છોડી પરમ વૈર્ય ગ્રહણ કરો. પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણરૂપ છે.
ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિપ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયીનું