________________
૧૯૩
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક આત્યંતર પરિણામ અવલોકન-હાથનોધ ૧ જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
વિષયાપણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે; કેમ કે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે.
વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.
ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે – નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે.
સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે. સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે.
વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારનો પદાર્થ સ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ.
કંઈ પણ છે ? શું છે ? શા પ્રકારે છે ? જાણવા યોગ્ય છે ? જાણવાનું ફળ શું છે ? બંધનો હેતુ શો છે ? પુદ્ગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ ?
જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે; માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ કરે છે.
અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસુતા ? અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્ત્વવાન કે તેમ નહીં ? મૂર્ત એવાં પુદ્ગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે ?