________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૧૩૯ ૧૩.પ્ર. - ખ્રિસ્તી ધર્મ વિષે આપ કાંઈ જાણો છો ? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો.
ઉ. - ખ્રિસ્તી ધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તી ધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી.
૧૪. પ્ર. - તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે, ને હતો..
ઉ. - એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમ કે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે; નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તો પિતા-પુત્રપણું શી રીતે બંધ બેસે? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે.
૧૫. પ્ર. - જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે.
ઉ. - એમ હોય તોપણ તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમ જ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્ચરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મોક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજાં પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું.
૧૭. પ્ર. - “ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે.
ઉ. - કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહતું સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે.