________________
૧૩૮
ગાંધીજીએ પૂછેલા પ્રશ્નોનાં ઉત્તર ૯. પ્ર. - (૧) વેદ કોણે કર્યા? તે અનાદિ છે ? (૨) જો અનાદિ હોય તો અનાદિ એટલે શું ? ઉ. - (૧) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે.
(૨) પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે; કેમ કે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રિોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિ-ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે.
૧૦. પ્ર. - ગીતા કોણે બનાવી ? ઈશ્વરકૃત તો નથી ? જો તેમ હોય તો તેનો કોઈ પુરાવો ?
ઉ. - ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યો તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમ કે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભપૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બોધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરીશાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી.
૧૧. પ્ર. - પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું?
ઉ. - પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્યહેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદનયોગ્ય નથી.
૧૨.પ્ર. - જે ધર્મ ઉત્તમ છે, એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે?
ઉ. - પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ કરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાવને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે.
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; | તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.