________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૧૨૯
સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી.
આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.
સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે,
કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર
નથી.
અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે.
જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે.
જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન
થાય.
હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્ત્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે.
જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે.
જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે.
અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે.