________________
અમૃતવેલની સજ્ઝાય
૧૭
વિવેચન :- અરિહંત પરમાત્મા જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે જઘન્યથી પણ (ઓછામાં ઓછા પણ) કોડાકોડી દેવો તેમની સેવામાં સદા તત્પર હોય છે. એટલે જ્યાં કેવલજ્ઞાન પામે ત્યાં ત્રણ ગઢ સાથેનું સમવસરણ તે દેવો રચે છે પ્રથમ ગઢ રૂપાનો, બીજો ગઢ સોનાનો અને ત્રીજો ગઢ રત્નોનો. તેના ઉપર સિંહાસન આવું સમવસરણ દેવો દૈવિક શક્તિથી બનાવે છે. તે ત્રણે ગઢમાંના ઉપરના ગઢમાં બાર પર્ષદા બેસે છે. ભનવપતિ, વ્યંતર, જ્યોતિષ્મ અને વૈમાનિક આમ ચાર નિકાયના દેવો અને ચાર નિકાયની દેવીઓ એમ ૮ તથા સાધુ-સાધ્વીજી મહારાજશ્રી, શ્રાવક અને શ્રાવિકા એમ ૮ + ૪ = કુલ ૧૨ પ્રકારની પર્ષદા ઉપરના ગઢમાં બેસે છે.
બીજા ગઢમાં પશુઓ અને પક્ષીઓ યથાસ્થાને બેસે છે. વૃક્ષો જેમ કેવલ શીતળતા જ વરસાવે છે તેમ પરમાત્મામાં પ્રાપ્ત થયેલા “ઉપશમભાવની-વીતરાગતાની છાયા” ત્યાં બેઠેલા સર્વે જીવો ઉપર પડે છે. તેનાથી પરસ્પરના વૈરભાવની આગ બુઝાઈ જાય છે અને અત્યન્ત શીતળતા પથરાય છે. તિર્યંચો પણ વેરઝેર ભૂલીને પરમાત્માની વાણી માત્ર જ સાંભળવામાં લયલીન બની જાય છે. પરમાત્માની આ વાણી તિર્યંચોને પણ પોતપોતાની ભાષામાં સંભળાય છે અને સમજાય છે. તેનાથી ઘણા ઘણા જીવો પ્રતિબોધ પામે છે.