________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
અમૃતવેલની સજ્ઝાય
પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ બનાવેલી અમૃતવેલની સજ્ઝાયના અર્થ કહેવાય છે. આ સજ્ઝાય ફક્ત ૨૯ ગાથાની છે. જાણે અમૃતની વેલડી હોય તેવી છે. અમૃતની વેલ ઉપર આવેલાં ફળ જે ચાખે તે અમર બની જાય તેમ આ સજ્ઝાય જે ભણે, જાણે, ગાય, અને તેના અર્થો જાણીને હૃદયમાં ઉતારે તે પણ અમર બની જાય (મુક્તિગામી થાય.) આ સજ્ઝાયમાં “ચઉસરણપયન્નામાં અને પંચસૂત્રના પ્રથમસૂત્રમાં બતાવ્યા પ્રમાણે' મુખ્યત્વે ત્રણ વિષયો હિતોપદેશ સ્વરૂપે સમજાવ્યા છે. એવી મીઠી ભાષા અને મીઠો રાગ છે કે વારંવાર ગાયા જ કરીએ, ગાયા જ કરીએ એવા હૃદયમાં ભાવ થાય. ગાથા બોલતાં બોલતાં જ તેના અર્થો હૃદયને ઊંડા ઊંડા સ્પર્શી જાય તેવા ભાવોથી ભરેલી આ સજ્ઝાય છે.
સજ્ઝાય એટલે સ્વાધ્યાય આત્મરમણતા, પૌદ્ગલિક ભાવો ભૂલી જવા, તેની મમતા મૂર્છા ત્યજી દેવી, તેનું નામ સ્વાધ્યાય-સજ્ઝાય. દરરોજ આ સજ્ઝાય એક વાર પણ બોલી જવાનો (ગાવાનો) નિયમ રાખવો. હવે પ્રથમ ગાથા જોઈએ.