________________
(A) મદ્ય (B) વિષય (C) કષાય, (D) નિદ્રા અને (E) વિકથા; આ પાંચે પ્રમાદ છે.
(A) મદ્ય = નશો પેદા કરે તેવા દારુ વગેરે કોઈ પણ પદાર્થનું સેવન કરવું તે પ્રમાદ છે. દારુ ચરસ, અફીણ, ગાંજો, ભાંગ, કોકીન, સરકો, તાડી, નીરો વગેરે માદક પદાર્થોનો તમામ ધર્મોએ નિષેધ કરેલો છે.
જીવન જીવવા માટે ભોજનની જરુર પડે છે; પણ દારુ વગેરે નશો કરનાર પદાર્થોની જરા ય જરુર નથી. તેના વિના પણ માણસ મસ્તીથી જીવી શકે છે. અરે ! તેનું સેવન કરવાથી તો માનવનું જીવન જોખમમાં મૂકાય છે. માનવ દારુ વગેરેના કારણે મુગ્ધબુદ્ધિવાળો બને છે. તેનાથી તે ગાવા લાગે છે. દોડવા કે હસવા લાગે છે. ગાંડાની જેમ બડબડ કરે છે. ઘડીક રડે છે, ઘડીક નાચે છે તો ઘડિક કજીયો કરવા લાગે છે. પોતાના હિતાહિતને તે સમજી શકતો નથી. ક્યારેક તો મરણને શરણ પણ થાય છે. દારુના કારણે સમગ્ર યાદવકુળનો સંહાર થયો હતો. આવા દારુનું તો સેવન થાય જ શી રીતે?
(B) વિષયઃ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ પાંચ વિષયો છે. આ પાંચમાંના કોઈ પણ વિષયમાં આસક્ત બનેલો જીવ સદા તેમાં જ રચ્યો પચ્યો રહે છે. તે અંગે જ તેની વિચારધારા ચાલતી રહે છે. તે મેળવવા માટે તેના પ્રયત્નો ચાલે છે. તેની આસક્તિ થતાં તે પોતાના હિતાહિતનો વિચાર કરી શકતો નથી. ગમે તેવું અકાર્ય કરવા પણ તે તૈયાર થઈ જાય છે, પરિણામે તેને ઘણીવાર અપયશ મળે છે.
વળી, આ વિષયોમાં વધુ આસક્ત બનવાથી તેનો અતિરેક કરવાથી આરોગ્ય ઉપર પણ અસર પડે છે. માંદગી આવે છે. ક્યારેક તો દવા વગેરેના ખર્ચથી પાયમાલ બનવું પડે છે.
વિષયોની આસક્તિ પોતાનું કર્તવ્ય અદા કરવા દેતી નથી. વિવેકબુદ્ધિને દૂર કરે છે. પાપકર્મો બંધાવીને દુર્ગતિઓમાં રખડાવે છે.
વિષયોની ભયાનકતાને નજરમાં લાવીને કાયમ માટે તેની આસક્તિથી દૂર રહેવાનો નિર્ણય કરવો જોઈએ.
(C) કષાયઃ કષ એટલે સંસાર. આય એટલે લાભ, જેનાથી સંસારનો લાભ થાય એટલે કે સંસારનું પરિભ્રમણ વધે તે કષાય કહેવાય. ક્રોધ - માન -માયા-લોભ; આ ચાર કષાયો છે.
(D) નિદ્રાઃ નિદ્રા સર્વગુણોનો નાશ કરનારી છે. ઉંઘમાં પાંચ ઈન્દ્રિયો અને મન નકામા બની જાય છે. સ્પર્શવાની – ચાખવાની - સુંઘવાની – જોવાની - સાંભળવાની અને વિચારવાની શક્તિ ઉંઘમાં ખલાસ થઈ જાય છે. પોતાની ઉપર
૯૩ : વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨