________________
પછી હે મિત્ર! બોલ તો ખરો ! ૧૦૦ યોજનથી તો ઘણે બધે દૂર, અરે ! ઠેઠ સાત રાજલોક દૂર મોક્ષમાં તું શી રીતે પહોંચી ગયો?
મને માફ કર ! મિત્ર ! મારા જેવા પાપીએ તને ન ઓળખ્યો... તારો વધ કરવાની પાપી ઈચ્છા મેં કરી. મારી કઈ ગતિ થશે ભગવંત? તમે તો સંસાર સાગરને તરી ગયા. સાથે સાથે મારા પુત્રને પણ તમે તારી દીધો. પણ મારા જેવા પાપીનું હવે શું થશે?”
રાજાએ ત્યાં ચિતા રચાવી. સિંહ શ્રેષ્ઠી તથા રાજકુમારના પવિત્ર મુનિ શરીરોને તે ચિતા ઉપર ગોઠવ્યાં. ગોશિર્ષ ચંદનના લાકડાની તે ચિતાને આગ પ્રગટાવી. બંને શરીરો પંચભૂતમાં વિલીન થઈ ગયા. પછી પરિવાર તથા સેના સાથે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. મિત્ર તથા પુત્ર મુનિને વારંવાર સંભારતો તે ધર્મધ્યાનમાં લીન બન્યો. સુંદર પવિત્ર જીવન જીવીને તે સદગતિ પામ્યો.
સિંહશ્રેષ્ઠીએ જે રીતે પ્રાણના ભોગે પણ છઠ્ઠા દિશી પરિમાણ વ્રતનું પાલન કરીને મોક્ષ મેળવ્યો, તે રીતે બધાએ પાલન કરવું જોઈએ. તેના પાંચ અતિચારમાંથી કોઈપણ અતિચાર લાગી ન જાય તેની પળે પળે સાવધાની રાખવી જોઈએ.
- (૧) દિશાનું ધારેલું પ્રમાણ ભૂલી જવું - ધારો કે એક શ્રાવકે ઉત્તર દિશામાં ૧૦૦ કિલોમીટરથી વધારે દૂર ન જવાનું વ્રત ગ્રહણ કર્યું. પછી કોઈ કારણસર ઉત્તરદિશામાં જવાનું થયું. તે વખતે ગમે તે ચિંતા કે વ્યાકુળતાના કારણે પોતે કરેલી મર્યાદાતે શ્રાવક ભૂલી જાય. મેં ૫૦કિલોમીટર ધાર્યા હતા કે ૧૦૦ કિલોમીટર? તેવી તેને શંકા પડે તો હકીકતમાં માત્ર ૧૦૦ કિલોમીટર ધાર્યા હોવા છતાંય આવી શંકાયુક્ત અવસ્થામાં તે માત્ર ૭૦ કિલોમીટર સુધી જાય તોય તેને આ અતિચાર લાગે.
પોતે ધારેલા ૧૦૦ કિલોમીટરથી વધારે દૂર ગયો ન હોવાથી આ વ્રતનો ભંગ નથી; પણ પોતાના મનમાં શંકા પડી હોવાથી, કદાચ ૫૦ કિલોમીટર ધાર્યા હોવાની શક્યતા ઊભી થઈ છે. તેને ઉલ્લંઘીને તે ૨૦કિલોમીટર વધારે દૂર ગયો, તે અપેક્ષાએ વ્રતનો ભંગ થયો પણ ગણાય, આમ, આ પરિસ્થિતિમાં એક અપેક્ષાએ વ્રતભંગ નથી તો અન્ય અપેક્ષાએ વ્રત ભંગ ઘટી પણ શકે છે. માટે અહીં ભંગાભંગ હોવાથી અતિચાર ગણાય.
આવો અતિચાર ન લગાડવા લીધેલા વ્રતને બરોબર યાદ રાખવું જોઈએ. તે વ્રતની પ્રતિજ્ઞા ભૂલી ન જવાય તેની સતત કાળજી રાખવી જોઈએ. એક વાત સદા યાદ રાખવી કે જિનશાસનની તમામ આરાધનાઓ ઉપયોગપ્રધાન છે. એટલે કે તે તે આરાધના કરતી વખતે તેમાં બરોબર ઉપયોગ રહેવો જોઈએ. પોતે શું કરવાનું છે?
વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨