________________
'(૩) વ્રત પાળીએ દ્રઢતા ધરી ||
મહામૂલા માનવજીવનને પામીને દરેકની ઈચ્છા આત્મકલ્યાણ કરવાની હોવી જોઈએ. તેમાંય જેને જિનશાસન મળી જાય તેની ભાવના તો આત્મકલ્યાણ કરવા માટે સાધુજીવન સ્વીકારવાની હોય.
ભાવના ભલે ગમે તેટલી ઊંચી હોય; પણ તે ભાવનાને પરિપૂર્ણ કરવા માટે જો , તેવી અનુકૂળતા ન હોય તો તે જીવ શું કરે? ભાવના ભાવવાપૂર્વક તેવી અનુકૂળ પરિસ્થિતિને પેદા કરવાનો પ્રયત્ન કરે. બરોબર ને?
જિનશાસનને પામેલો આત્મા સંયમજીવન ન સ્વીકારી શકે તો ય તે ઉત્તમોત્તમ શ્રાવકજીવન જીવવા તો ઈચ્છે જ. સાધુજીવનના પાંચ મહાવ્રતો પાળવામાં અઘરા વ્રતો) ન સ્વીકારી શકે તો છેવટે પાંચ અણુવતો (પાળવામાં સહેલાં વ્રતો) તો સ્વીકારે જ. તે પાંચ અણુવ્રતોનું સ્વરૂપ તો આપણે વિચાર્યું.
હવે ત્રણ ગુણવ્રતો અંગે વિચારણા કરવાની છે. પાંચ અણુવ્રતો પાળવામાં જે વ્રતો ગુણકારી બને, સહાયક બને તે ગુણવ્રત. ગુણોની વૃદ્ધિ કરે તે ગુણવ્રત.
ગુણવ્રતો ત્રણ છે. (૧) દિશાપરિમાણ વ્રત (૨) ભોગોપભોગ પરિમાણ વ્રત અને (૩) અનર્થદંડ વિરમણ વ્રત.
(૧) દિશા પરિમાણ વ્રતઃ ચારે દિશામાં ગમે ત્યાં જવાની ઈચ્છાની મર્યાદા કરવી તે દિશાપરિમાણ વ્રત.
ચાર ગતિમાં કાયમ માટે ભટકવું બંધ કરવું હોય તો ચારે દિશામાં રખડવાનું બંધ કરવું જોઈએ. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે ગુણોની રક્ષા અને વૃદ્ધિ કરવી હોય તો પણ દુનિયામાં જ્યાં ત્યાં ભટકવાનું બંધ કરવું જોઈએ. કારણ કે
જ્યાં ત્યાં ભટકવાથી મોહ વધે છે. નવા નવા પદાર્થો મેળવવાની ઈચ્છા થાય છે. નવી નવી આસક્તિઓ પેદા થાય છે. રાગ-દ્વેષ વધે છે, હિંસાદિ દોષો પુષ્કળ સેવાય છે. સ્થિરતા નામના ગુણનો નાશ થાય છે. અસ્થિરતા દોષ દેખા દે છે.
અસ્થિરતાથી સંસાર છે. સ્થિરતાથી મોક્ષ છે. આત્માના આઠ રૂચક પ્રદેશો સદાના સ્થિર છે. તેથી તેના ઉપર ક્યારે ય કોઈપણ કર્મ પરમાણુઓ ચોંટતા નથી. તે સિવાયના બાકીના તમામ આત્મ પ્રદેશો સતત અસ્થિર રહ્યા કરે છે. કંપ્યા કરે છે. પરિણામે પ્રત્યેક સમયે તેની ઉપર કર્મો ચોંટ્યા કરે છે. તે કર્મોના ઉદયે જીવે સંસારમાં ચારે ગતિમાં જન્મ-મરણ કરવા પડે છે.
૨૦ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨