________________
ભાવિ ‘નાઈટ’નું ઘડતર
તથા અનેક પ્રકારની રિદ્ધિસિદ્ધિ તેનાં ચરણોમાં ન્યોચ્છાવર કરવાનો સળવળાટ – તેમને જંપ વગરના કરી મૂકતા. પરિણામે, ધીમે ધીમે, થોડા વખતમાં, પોતે વાંચેલું બધું જ અક્ષરશ: બન્યું હતું એમ માનવા ઉપરથી, તેમની આસપાસ ચોમેર બની જ રહ્યું છે, એમ માનવાકલ્પવા-જોવા ઉપર તે આવી ગયા!
શૌર્યકથાઓમાં આવતા આ બધા ‘નાઈટ’-વીરોનાં જીવનચરિત્ર તે જેમ વર્ષશ: જાણતા હતા, તેમ તે કથાઓમાં આવતા રાક્ષસોના શરીર ઉપરના ઈંચ ઇંચનું તાદૃશ વર્ણન તે રોમશ: જાણતા. બધા વીરો વાતચીત કયા શબ્દોમાં કરતા હતા, તે તો તેમને અક્ષરશ: યાદ હતું, પણ તે શબ્દો બોલતી વખતે તેઓ કેવી જુદી જુદી અંગચેષ્ટા કરતા, તે પણ તેમને માલૂમ હતું. તે દરેકની ખાસિયતો, ગુણધર્મ– એ સૌ બાબતોની તેમને રજેરજ અને જરજર માહિતી હતી.
ધીમે ધીમે તેમને ચોમેર ચાલતા અત્યાચારીઓના ઘમસાણમાં ધસી જઈ પરાક્રમો કરવાનો, અનેક બંદીવાન થયેલી અને ચાલુ થયા કરતી અસહાય અબળાઓને માયાવી દાનવોની ચુંગલમાંથી છોડાવવાનો, તથા એમ આખી દુનિયાને અત્યાચાર-મુકત અને દુ:ખમુકત કરી અક્ષમ્ય કીર્તિ પ્રાપ્ત કરવાનો અભળખો જાગ્યો.
થોડા વખતમાં તો તેમણે એ મહા-વિજયપ્રસ્થાન માટે તૈયારી આરંભી દીધી. શુભસ્ય શીઘમ્! સારા કામમાં વળી ઢીલ શી?
પ્રથમ તો તેમણે, તેમના પડ-દાદાના વખતનું એક બખ્તર ઉપરને માળ ભુલાઈ જઈ કાટ ખાવું પડયું હતું, તેનો જીર્ણોદ્ધાર કર્યો. પોતાની જાતે જ તેનાં મજબૂત પતરાં તેમણે ઘસી-માંજીને સાફ કર્યા તથા તૂટી ગયેલાં મિજાગરાં ધૂળ-ધમાં પરોવી-બાંધી-વટીને ઠીકઠીક કર્યા. જો કે, માથાના ટોપનો માત્ર માથાવાળો ભાગ જ બાકી રહ્યો હતો; નાક-મોં-કાન ઉપર પહોંચતો તેનો ભાગ ખોવાઈ ગયો હતો; પરંતુ ઉદ્યમથી અદકું શું છે, વળી? તેમણે જાડા પૂંઠાને કોતરી-ચોંટાડી એ બધો ભાગ એક અઠવાડિયામાં તૈયાર કરી દીધો. પરંતુ શૂરાને સંગ્રામમાં સો સો ઘા ખાવાના આવે! – એટલે તે પૂંઠું કેવું કામ આપે છે તે જોવા તેમણે પોતાની તરવાર તેના ઉપર ચલાવી જોઈ. પણ આ શું? શાકનું હિંગલું ઊડી જાય