________________
૨૮૦
ડૉન કિવકસોટ! છે; માણસનાં પાપ ગમે તેટલાં મોટાં હોય, પણ તેની દયા તેથી પણ મોટી છે.”
તેમની ભત્રીજી તેમનો અવાજ સાંભળી ત્યાં દોડી આવી, અને, “શું થયું? શું થયું?” એમ ચિંતાતુર થઈને પૂછવા લાગી.
ડૉન કિવકસોટ બોલી ઊઠયા, “ભગવાને મારા ઉપર દયા કરી છે અને મને મારું ભાન પાછું મળ્યું છે. અજ્ઞાનનું જે પડળ મારી આંખો ઉપર ફરી વળ્યું હતું તે દૂર થયું છે. “તૂટ સાં મરમ, મ વિની વાસ!' પેલી નકામી ચોપડીઓ વાંચી વાંચીને કોણ જાણે મારા મગજમાં કેવીક ધૂન ભરાઈ બેઠી હતી? માત્ર ખેદ એટલી જ વાતનો છે કે, એ ભાન મને બહુ મોડું આવ્યું. કારણ, હવે મારી આખરી ઘડી આવી પૂગી છે; અને પ્રભુ પાસે પહોંચવા તૈયાર થવાનો મારી પાસે જરાય વખત રહ્યો નથી. અરેરે, મેં કેવી મૂર્ખતામાં મારા દિવસ કાઢી નાંખ્યા ? બેટા, હવે બીજું કશું કર્યા વિના મને, મારી ચિર વિદાય માટે તૈયારી કરવામાં મદદ કર. પ્રથમ તો તું મારા પ્રમાણિક મિત્ર પાદરી-બુઆ, નિકોલસ, અને શાસ્ત્રી કેરેસ્કોને બોલાવવા મોકલ. હું કબૂલાતવિધિ પૂરો કરી મારું વીલ લખાવી દેવા માગું છું.”
એટલામાં કોણ જાણે પ્રભુએ મોકલ્યા હોય તેમ તે ત્રણે ત્યાં આવી પહોંચ્યા. ડૉન કિવક્સોટે તરત જ તેમને કહ્યું, “આવો મિત્રો, હવે હું ડૉન કિવકસોટ દ લા માંશા નહિ, પણ તમારો સાચો મિત્ર અલોન્ઝો કિવકસાનો તમને બોલાવું છું. મારી પાસે વખત થોડો છે, એટલે મારે કહેવાનું તમે સૌ પહેલાં સાંભળી લો: નાઈટ-પણાની બધી ચોપડીઓ ખોટી છે – જૂઠી છે - નકામી છે; આખી પેઢીને માટે તે ભયરૂપ છે, જોખમરૂપ છે. મારા જેવા કેટલાયનાં મગજ તે વાતો ભરમાવી દેતી હશે. ભગવાનની દયાથી મારો પોતાનો એ ભ્રમ તો હવે ભાગ્યો છે. મારા જાતઅનુભવથી હવે તમને હું એમ કહું છું, તે તમે સાચું માનજો. મારું મોત નજીક આવી રહ્યું છે. હવે તમે મને સારું લગાડવા નહિ પણ મારી સાથે ગંભીરતાથી વાત કરજો. મારે મારો કબૂલાત-વિધિ કરાવવો છે અને વીલ લખાવવું છે તેની બધી તૈયારીઓ તરત જ કરવા માંડો.”