________________
ઘર તરફ
૨૭૯ થયા પછી સાન્કોએ પહેલાંની પેઠે જ ઝાડો ઉપર ફટકા મારી, ખૂબ વાગ્યાની બૂમો પોતે પાડવા માંડી. બરાબર ત્રણ હજાર અને ઓગણત્રીસ ફટકા થયા; એટલે તેઓએ બાકીના ફટકા પછી પૂરા કરવાનું વિચાર્યું. અને સૂર્યોદય થતાં તેઓ આગળ ચાલ્યા.
તે રાતે પણ સાન્કોએ ફટકા પૂરા કરવાની ખુશી બતાવી, એટલે ડૉન કિવકસોટ એકદમ રાજી રાજી થઈ ગયા. તેમને થઈ ગયું કે, ફટકા પૂરા થતાં લેડી ડુલસિનિયા તેમને સ્વદેહે દર્શન જરૂર દેશે.
ફટકા પૂરા થયા પછીના બીજા દિવસે તેઓએ મુસાફરી શરૂ કરી, ત્યારે દૂરથી સામે આવતું જે કોઈ હોય તે લેડી ડુલસિનિયા જ હશે એવી આશા ડૉન કિવકસોટ રાખ્યા કરતા.
એમ કરતાં કરતાં તેઓ છેલ્લી ટેકરી ઉપર આવી પહોંચ્યા, જ્યાંથી તેમને પોતાના ગામનાં દર્શન થતાં હતાં. સાન્કો તરત ઘૂંટણિયે પડી પોતાની વતન-ભૂમિને પગે લાગ્યો.
વચ્ચે જ એક ખેતરમાં શાસ્ત્રી કેરેસ્કો અને પાદરી-બુઆ તેમને સામાં મળ્યા. બંને જણ રાજી થતા ડૉન કિવકસોટ તરફ દોડી આવ્યા.
ડૉન કિવકસોટ નીચે ઊતર્યા અને તેમને ભેટ્યા. થોડી વારમાં તો ગામમાં ડૉન કિવકસોટ અને સાન્કો પાછા આવ્યાની ખબર પહોંચી ગઈ.
ઘેર પહોંચતાં જ ડૉન કિવકસોટે પોતે ગોપ-જીવન ગાળવા કરેલા નિરધારની વાત સૌને કરી. અને એક વરસ એમ જીવન વિતાવ્યા બાદ પોતે ફરી શસ્ત્રધારણ કરી વિજ્ય-પ્રસ્થાન કરશે એમ પણ જણાવ્યું.
પરંતુ રાત પડતાં સુધીમાં તો ડૉન કિવક્સોટને ભયંકર થાક લાગવા માંડયો અને તેમને સખત તાવ ચડ્યો.
સૌએ માની લીધું કે, એ તાવ થાકનો તથા નિરાશાનો હશે. અને થોડા દિવસમાં તેમને ઠીક થઈ જશે.
પરંતુ એ તાવ જીવલેણ નીવડવાનો હતો.
એ તાવની ઊંઘમાંથી છ કલાક બાદ તે જાગ્યા ત્યારે કંઈક વિચિત્ર મોટા અવાજે પોકારી ઊઠયા: “ભગવાનની દયા છે! ભગવાન દયાળુ