________________
ડબૂકને ત્યાંથી વિદાય
૫૫.
બરાબર ઓળખે છે; તેઓ પણ એમની મુલાકાતનો લાભ મળતાં ખરે જ ઘણા રાજી થશે.”
એટલામાં તો એ બે ગોપ-સુંદરીઓમાંથી એકનો ભાઈ ગોપવેશમાં ત્યાં આવી પહોંચ્યો. આ ડૉન કિવકસોટ દ લા માંશા પોતે છે, એ જાણતાં જ, ખૂબ આગ્રહ કરી, તે પણ આ બેને પેલા ઉપવન-મંડપ તરફ લઈ ગયો. ત્યાં અનેક ગોપ-વેશધારી યુવાનો અને યુવતીઓની ભીડ મચી હતી. તેઓ સૌએ ડૉન કિવકસોટનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું.
ખૂબ આનંદ ઉલ્લાસમાં ખાન-પાન પૂરું થયું. પછી ડૉન કિવકસોટે આનંદ-ઉત્સાહમાં આવી જઈ, નાઈટ લોકોની રીત પ્રમાણે સૌ વચ્ચે જાહેર કર્યું, “ આપણા પ્રત્યે કોઈએ મનથી-વાણીથી-કે-કર્મથી કંઈ સદ્ભાવ દાખવ્યો હોય, તો તેનો બદલો વાળવા ન ચૂકવું – એ સદ્ગૃહસ્થોનો અને ખાસ કરીને પ્રેમ-શૌર્ય-વ્રતધારી નાઈટોનો ધર્મ છે. હું તમો સૌએ કરેલા આતિથ્ય-સત્કારથી બહ પ્રભાવિત થયો છું. એટલે હું જાહેર કરું કે, અહીં પાસેના રાજમાર્ગ ઉપર હું બે દિવસ અને બે રાત ખડો રહીશ; તથા જતા આવતા સૌને માંએ કબૂલ કરાવીશ કે, જે બે ગોપકન્યાઓએ મને તમો સૌ વચ્ચે નોતર્યો છે, તે બે સૌંદર્યમાં અને ગુણમાં સર્વશ્રેષ્ઠ છે! જે એ કબૂલ કરવા ના પાડશે, તેને મારી સાથે યુદ્ધમાં ઊતરવું પડશે.
""
સૌ યુવાન-યુવતીઓને આ જાહેરાતથી બહુ આનંદ તથા આશ્ચર્ય થયાં. અને તેઓમાંનાં ઘણાં આ જાહેરાતનો અમલ નાઈટ મહાશય શી રીતે કરાવે છે તે જોવા સાથે થયાં.
અને નસીબ પણ કેવી અવળચંડી જાત છે! તે આવા લોકોના માર્ગમાં એવી વિચિત્ર બાબતો લાવીને ખડી કરી દે છે કે, તે જ પ્રસંગે હાજર થવાને તેમને કંઈ કારણ ન હોય. એટલે કોઈ એકદોકલ વટેમાર્ગુ કે સારા માણસોનું જૂથ ત્યાં આવી ચડવાને બદલે, સાંઢોના ટોળાને પાસેના શહેરની ગુજરીમાં લઈ જતા ઠાકોરોની એક ટુકડી લાંબા લાંબા દડા હાથમાં લઈ ઘોડાઓ ઉપર બેસી સામેથી ધસમસતી આવતી દેખાઈ.