________________
૪
તેના પિતાના પિતા ઍડવોકેટ હતા; અને તેનો પિતા રોડ્રિગો દ સર્વાંત ટ્રાવેલિંગ-દાકતર હતો. મિગુએલ ઉપરાંત બીજાં છ છોકરાં ખવરાવવાનાં હોઈ, બાપને દરદીઓની શોધમાં ઘણું ઘણું બહાર જ ભટકવું પડતું.
મિગુએલ અને તેનાં બીજાં ભાઈબહેનોને કેટલી અને કેવી કેળવણી મળી શકી હતી, એ વિષે કશું નિશ્ચિત કહી શકાતું નથી. છતાં છોકરાં શાળાકીય કેળવણી લઈ શકે તેટલો લાંબો વખત એ કુટુંબ વલ્લાદૉલિદ મુકામે રહ્યું હતું, એટલું નિશ્ચિત છે. સર્વાંત પોતે કહે છે તે પ્રમાણે, બચપણથી તેને વાંચવાનો બહુ શોખ હતો; અને શેરીમાં કાગળનું ગમે તે પતાકડું હાથમાં આવે, તેને તે વાંચ્યા વિના છોડતો નહીં.
મિગુએલે સાલામાંકા યુનિવર્સિટીમાં ઓછામાં ઓછાં બે વર્ષ ગાળ્યાં હતાં, એવી વાયકા છે; પણ એ પ્રમાણભૂત નથી મનાતી. પરંતુ તેની વીસ વર્ષની ઉંમરના પ્રારંભકાળમાં માડ્રિડ મુકામે તે વિદ્યાર્થી હતો, એટલું નિશ્ચિત કહી શકાય છે; કેમ કે બાદશાહ ફિલિપ - ૨ ની ત્રીજી પત્નીના મૃત્યુ સમયે તેણે જે કવિતા લખી, તેની જાહેર પ્રશંસા તેના શિક્ષકે કરી હતી.
પુખ્ત ઉંમરનો થતાં જ સર્વાંત વિખ્યાત કાર્ડિનલ ઍકવાવિવાના રસાલામાં જોડાઈ રોમ ગયો. પરંતુ તેનો મોટો ભાઈ લશ્કરમાં જોડાયો હતો, એટલે મિગુએલ પણ ઇટાલીમાં થોડું ઘણુ ફર્યા પછી કાર્ડિનલની નોકરી છોડી સૌનિક તરીકે સ્પેનના લશ્કરમાં જોડાયો.
લશ્કરમાં જોડાયા પછી, તેને પોતાની વીરતા અને પરાક્રમ દાખવવાની તક તરત જ મળી. તુર્કસ્તાન સામેના લેપાન્ટોના યુદ્ધ દરમ્યાન (ઈ. સ. ૧૫૭૧) ખ્રિસ્તી નૌકાસૈન્યે જ્યારે તુર્ક નૌકા-સૈન્ય ઉપર હુમલો શરૂ કર્યો, તેને આગલે દિવસે તે તાવથી પટકાઈ પડયો હતો; પરંતુ ચડાઈ શરૂ થતાં જ તે પથારીમાંથી ઊઠીને ઊભો થઈ ગયો અને ભયંકર જોખમવાળી જગાએ પોતાને મોકલી આપવાની તેણે માગણી કરી. અલબા, એવા ઘમાસાણ યુદ્ધમાં એવી જગાએ તેને મોકલવામાં મુશ્કેલી હતી