________________
૧૧૦
ડૉન કિવકસોટ! હજામને તો એ બાબતમાં વાંધો જ ન હતો. એટલે તે તરત તૈયાર થયો. પરંતુ, અહીંથી એ બધો પહેરવેશ બદલીને નીકળવું એ મુસાફરી દરમ્યાન મુશ્કેલી ઊભી કરે તેવું લાગવાથી, તેઓએ એ બધું ગડી કરીને સાથે બાંધી લીધું, અને પર્વતોમાં પહોંચ્યા પછી, થોડે દૂરથી જ એ બધું પહેરી લેવાનું ઠરાવ્યું.
બીજે દિવસે તેઓ રસ્તો છોડી પર્વતોમાં પેસવાનું ક્યાંથી શરૂ થતું હતું ત્યાં આવ્યા. સાન્કોએ નિશાની તરીકે ત્યાં આગળ ઝાડની ડાળીઓ અમુક રીતે ગોઠવી રાખી હતી. તેણે હવે આ લોકોને પોતાના વેશ ત્યાંથી જ બદલી લેવાનું જણાવ્યું, તથા પાદરી-બુવાને છેક છેવટના આગ્રહભરી વિનંતી કરી કે, તે ડૉન કિવકસોટને રાજા બનવાનું જ સમજાવ, અને વડા-પાદરી બનવાની કદી સલાહ ન આપે.
પેલાઓએ પણ તેને તાકીદ આપી કે, અમે કોણ છીએ એ વાત ભૂલેચૂકે પણ તારે એથી નીકળવી ન જોઈએ. ઉપરાંત ડૉન કિવસોટ તેને પૂછે કે, ડુલસિનિયાના કાગળનું શું થયું, તો તેણે એમ કહી દેવું કે, એ કાગળ તેમને પહોંચાડયો છે; પણ તેમને લખતાં વાંચતાં ન આવડતું હોવાથી તેમણે તાબડતોબ તમને ટૉબોસો પાછા ફરવાનું ફરમાવ્યું છે, અને તમે જો તેમના હુકમની રૂએ જલદી પાછા નહિ ફરો, તો તે કદી તમારી સામું જોશે પણ નહિ, એવી ધમકી પણ તેમણે કહાવી છે.
સાન્કોએ આ બધું બરાબર સમજી લીધું તથા ઉપરથી એમ પણ કહ્યું કે, “હું તમારી આગળ જ જઈને તેમને લેડી ડુલસિનિયાનો આ સંદેશો સંભળાવું, તો તે તરત માની જશે અને આ પર્વતનું તપ છોડી દેશે, તો પછી તમારે તમારો આ વેશ ભજવવાની પણ જરૂર નહિ રહે.”
પેલા બંનેને પણ આ વાત મંજૂર હતી; એટલે સાન્કો ડૉના કિવકસોટને મળીને, તેમને લઈને પાછો આવે ત્યાં સુધી તેઓએ ત્યાં જ આસપાસ ઝાડોમાં છુપાઈ રહેવાનું કબૂલ કર્યું.